માલદા: પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં સ્થિત પાંડુઆમાં આવેલી ઐતિહાસિક અદિના મસ્જિદ મુદ્દે વિવાદ વકર્યો છે. આ અંગે હિન્દુ સંગઠનોનો દાવો કર્યો છે કે આ મસ્જિદ આદિનાથ શિવ મંદિર તોડીને બનાવવામાં આવી હતી.
સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યા બાદ હિન્દુ સંગઠનો સક્રિય
જેમાં પશ્ચિમ બંગાળના માલદામાં આવેલી 650 વર્ષ જૂની અદિના મસ્જિદ ખરેખર આદિનાથ શિવ મંદિર હોવાના દાવાને પગલે આ વિસ્તારમાં તણાવ સર્જાયો છે. રાજ્યસભા સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્ય દ્વારા સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યા બાદ હિન્દુ સંગઠનોએ આ સ્થળને મંદિર તરીકે પુનઃસ્થાપિત કરવાની માંગણી તીવ્ર બનાવી છે.
રુદ્રાભિષેક વિધિ અને પૂજા કરવાની અપીલ
આ માંગણીથી તણાવ વધુ વધ્યો છે. જેમાં હિન્દુ સુરક્ષા સમિતિ નામના સંગઠને પવિત્ર શ્રાવણ મહિનામાં સોમવારે વિવાદિત મસ્જિદની નજીક એક સ્થળે ભગવાન શિવની વિશેષ રુદ્રાભિષેક વિધિ અને પૂજા કરવાની અપીલ કરી છે. આ સમગ્ર વિસ્તારની પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે.
પોલીસે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું
તેમજ હિન્દુ સુરક્ષા સમિતિ નામના સંગઠને મસ્જિદની બહાર આજે શિવ પૂજા કરવાની અપીલ કરી હતી. જેના પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે.
વિવાદ હાલમાં કોલકાતા હાઈકોર્ટ સમક્ષ સુનાવણી હેઠળ
માલદા જિલ્લાના એસપી અનુપમ સિંહે જણાવ્યું હતું કે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં 300 પોલીસ કર્મચારીઓ અને કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા છે અને ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. આ સમગ્ર વિવાદ હાલમાં કોલકાતા હાઈકોર્ટ સમક્ષ સુનાવણી હેઠળ છે. આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને કોર્ટે હાલ માટે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો.