નવી દિલ્હી: મેઘાલયમાં હનીમૂન દરમિયાન ઇન્દોરના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપતિની હત્યા કેસના આરોપી પત્ની સોનમ રધુંવશીના જામીન સુપ્રીમ કોર્ટે રદ કર્યા છે. તેમજ ત્રણ અઠવાડિયામાં આત્મ સમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટે જણાવ્યું છે કે જો ટ્રાયલમાં વિલંબ થાય તો તે છ મહિના પછી નવી જામીન અરજી દાખલ કરી શકે છે.
આ કેસમાં કુલ 94 સાક્ષીઓને ટાંકવામાં આવ્યા
મેઘાલય સરકારે આરોપી પત્ની સોનમ રઘુવંશીને મળેલા જામીનને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ સુનાવણી દરમિયાન સોનમ રઘુવંશીના વકીલે જણાવ્યું હતું કે આ કેસમાં કુલ 94 સાક્ષીઓને ટાંકવામાં આવ્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં ફક્ત ચારના નિવેદનો નોંધાયા છે. એક પૂરક ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે અને તેને કડક શરતોને આધીન જામીન આપવામાં આવ્યા છે.
ધરપકડને શરણાગતિ તરીકે દર્શાવવામાં આવી
સોનમના વકીલે સ્પષ્ટતા કરી હતી કે તેણીએ શરણાગતિ સ્વીકારી નથી. તેની ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં ધરપકડ કરવામાં આવી હતી, જોકે તેની ધરપકડને શરણાગતિ તરીકે દર્શાવવામાં આવી રહી છે. વકીલે વધુમાં જણાવ્યું હતું કે તે જામીનની કડક શરતોનું પાલન કરી રહી છે અને તેના ફરાર થવાનું કોઈ જોખમ નથી.