મુંબઈ: મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા શરદ પવારના નેતૃત્વ હેઠળની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં સંગઠનાત્મક ફેરફારોની પ્રક્રિયા ચાલી રહી છે. એનસીપી (એસપી) પાર્ટીએ તેના તમામ પ્રવક્તાઓને એકસાથે હટાવી દીધા છે. હવે એવી ચર્ચા છે કે પાર્ટી પોતાનો પક્ષ રજૂ કરવાની જવાબદારી સંભાળનારા આ નેતાઓ પક્ષની અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં નિષ્ફળ રહ્યા હતા. જોકે, આ નિર્ણય પાછળ કોઈ સત્તાવાર કારણ આપવામાં આવ્યું નથી. એનસીપીએ અગાઉ પણ સંગઠનાત્મક સ્તરે અનેક ફેરફારો કર્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર એક ભૂતપૂર્વ પ્રવક્તાએ કહ્યું હતું કે 'અમને આ અચાનક લેવાયેલા નિર્ણય વિશે કંઈ જ ખબર નથી. તે કદાચ સંગઠનમાં ચાલી રહેલા ફેરફારોનો જ એક ભાગ હશે. નવી નિમણૂકો વિશે અમને ટૂંક સમયમાં જાણ થશે.' અહેવાલ મુજબ પક્ષના નેતા શશિકાંત શિંદેએ મંગળવારે રાતના એક પ્રેસ નોટ દ્વારા તમામ પ્રવક્તાઓની નિમણૂકો રદ કરી હતી.
શું છે કારણ?
શશિકાંત શિંદેએ જણાવ્યું હતું કે જ્યાં સુધી નવી નિમણૂકો કરવામાં ન આવે ત્યાં સુધી મહારાષ્ટ્ર વિધાન પરિષદના ભૂતપૂર્વ સભ્ય વિદ્યા ચવ્હાણ અને પક્ષના નેતા મહેશ તાપસે પ્રવક્તા તરીકેની જવાબદારી સંભાળશે.
ઉલ્લેખનીય છે કે, એનસીપી (એસપી)એ છેલ્લા બે અઠવાડિયામાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. તાજેતરમાં શિંદેએ પક્ષની વિદ્યાર્થી પાંખના પ્રમુખની નિમણૂક કરી હતી, જ્યારે વિશાલ વાકડકરને યુવા પાંખની જવાબદારી સોંપવામાં આવી હતી.
આ ઉપરાંત, રામ રાઠોડને એજ્યુકેશન સેલના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એવી અટકળો છે કે પક્ષ નજીકના ભવિષ્યમાં વધુ ફેરફારો કરી શકે છે. જોકે, આ અંગે અત્યાર સુધીમાં કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
જ્યારે પાર્ટીએ પરીક્ષાઓમાં થયેલી અનિયમિતતાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ધારાસભ્ય રોહિત પવારે MHT-CET અંગે સવાલો ઉઠાવ્યા છે. તેમણે રાજ્યના પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલના રાજીનામાની માંગ કરી છે. મંગળવારે એક પત્રકાર પરિષદને સંબોધતા શરદ પવારે આક્ષેપ કર્યો હતો કે ભાજપની આગેવાની હેઠળની સરકારના કાર્યકાળ દરમિયાન પરીક્ષા પ્રણાલીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે અગાઉની તપાસમાં એવા પુરાવા મળ્યા હતા જે સૂચવે છે કે પરીક્ષાનું પ્રશ્નપત્ર 25 લાખ રૂપિયામાં લીક કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ બાબતે આગળની કાર્યવાહી કરવા માટે તેમની પાર્ટીના પ્રતિનિધિઓ ભાયખલા પોલીસ સ્ટેશન જશે.
એક્સાઈઝ વિભાગની ભરતી પરીક્ષા અંગે વધારાના પુરાવા મળ્યા હોવાનો દાવો કરતા તેમણે આક્ષેપ કર્યો હતો કે પરીક્ષાની ગુણ-પદ્ધતિ સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. તલાટી ભરતી પરીક્ષામાં પણ કથિત અનિયમિતતાઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે આ ઘટનાઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશ્વસનીયતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.