Fri May 01 2026

Logo

એન્ટિલિયા કેસ: સચિન વાઝેની મુક્તિની માંગ, UAPA હેઠળ કાર્યવાહીને ગણાવી ખોટી

2026-03-10 21:04:02
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેએ એન્ટિલિયા વિસ્ફોટક અને ઉદ્યોગપતિ હિરેન મનસુખની હત્યાના કેસમાંથી તેમને મુક્ત કરવાની માંગ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે આ ગુનાઓ કડક યુએપીએ હેઠળ કાર્યવાહી કરવા માટે "આતંકવાદી કૃત્ય" સમાન નથી.

સોમવારે વિશેષ એનઆઇએ કોર્ટમાં દાખલ કરેલી પોતાની અરજીમાં વાઝેએ દલીલ કરી હતી કે આ કેસ ચલાવવાનો કોર્ટ પાસે કાયદેસરનો અધિકાર નથી અને તેમની સામેની આખી કાનૂની કાર્યવાહી કાયદાની નજરમાં અમાન્ય છે.

૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ના દક્ષિણ મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન 'એન્ટિલિયા' પાસે વિસ્ફોટકોથી ભરેલી એક એસયુવી કાર મળી આવી હતી. જે વેપારી મનસુખ હિરેન પાસે આ કાર હતી, તેમનો મૃતદેહ પાંચ માર્ચ, ૨૦૨૧ના નજીકના થાણેમાં એક ખાડીમાંથી મળી આવ્યો હતો. 

આ કેસમાં કથિત ભૂમિકા બદલ વાઝેની માર્ચ ૨૦૨૧માં ધરપકડ કરવામાં આવી હતી. તે હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. કોર્ટે વાઝેની અરજીનો જવાબ આપવા માટે ફરિયાદ પક્ષને નિર્દેશ આપ્યો છે, અને આ મામલાની સુનાવણી ૧૩ માર્ચે થશે.