પુણે: કેતન અગરવાલ હત્યાકાંડની આરોપી મંગેતર સિયા ગોયલના માતા-પિતાનું નિવેદન બહાર આવ્યું છે. સિયાના માતાપિતાએ પોતાની દીકરીનો પક્ષ લેવાના બદલે કાયદા અને ન્યાયને સહકાર આપ્યો છે. તેમણે ભાવુક થઈને કડક શબ્દોમાં કહ્યું હતું કે જો તેમની દીકરી આ જઘન્ય અપરાધમાં દોષી સાબિત થશે, તો તેને કડક સજા મળવી જોઈએ.
'મારી દીકરીને પણ કિલ્લાથી નીચે ફેંકી દો'
આરોપી સિયાના પિતા પ્રવીણ ગોયલે કહ્યું હતું કે, 'જેણે પણ આ કૃત્ય કર્યું છે, તેને સૌથી સખતમાં સખત દંડ મળવો જોઈએ, જે કિલ્લા પરથી અમારા કેતનને ફેંકવામાં આવ્યો હતો, ત્યાંથી જ જે પણ દોષી સાબિત થશે, ભલે તે મારી દીકરી જ કેમ ના હોય, તેને પણ તેવી જ રીતે નીચે ધક્કો મારી દેવો જોઈએ.
આગળ તેમણે કહ્યું કે 'અમે સિયાના પ્રેમ સબંધોથી અજાણ હતા. સિયા એક સીધી-સાદી સામાન્ય છોકરી છે. તે 19 વર્ષની છે. શું 19 વર્ષની કોઈ છોકરી આવું કઈ કરી શકે છે? મને આના વિશે કઈ જાણ નથી. ચેતન ક્યાંથી આવ્યો? મેં ક્યારેય તેનો ચહેરો પણ નથી જોયો કે જિંદગીમાં ક્યારેય પણ તેની સાથે વાત પણ કરી નથી. તે ક્યારેય પણ અમારા ઘરે આવ્યો નથી. કેતનના કુટુંબીજનો સંસ્કારી લોકો છે. અમે એક દીકરો અને સારા સંબંધી ગુમાવ્યા છે. આ કેસમાં તપાસ થશે. તપાસ થવા દેવી જોઈએ. હું બસ એ જ ઈચ્છું ચુ કે જે પણ પરિણામ આવે, તેના પર કાર્યવાહી થાય અને દોષીને સજા મળે.'
'3 કરોડનો રિસોર્ટ બુક હતો, 5 કરોડના લગ્ન થવાના હતા'
આરોપી સિયાની માટે કહ્યું હતું કે પરિવારને સિયા અને કેતનના લગ્નની ઘણી આશાઓ હતી. ખૂબ અપેક્ષાઓ હતી. અઢળક પ્રેમ હતો. કેતનનો પરિવાર પણ સિયાને ખૂબ પ્રેમ અને સ્નેહ આપતો હતો. બધા કાર્યક્રમો સરસ ચાલી રહ્યા હતા. તેમણે તેના જન્મદિવસની ઉજવણી માટે પણ કેટલાક કાર્યક્રમો આયોજિત કાર્ય હતા.'
આગળ સિયાની માતાએ કહ્યું કે 'જો અમને એવું લાગ્યું હોત કે સિયાને કોઈ મુશ્કેલી થઈ રહી છે કે તે કેતન સાથે વાત કરી શકતી નહોતી, તો તેઓ અમને વાત કરી શકતા હતા. સિયાએ આ લગ્ન બાબતે કોઈ નારાજગી વ્યક્ત કરી નહોતી. અમને ચેતન બાબતે કોઈ જાણ હતી નહીં. સગાઇ પછી તે ફક્ત કેતન સાથે વાત કરતી હતી.
મને નથી લાગતું કે તે આ ઘટના માટે રાજી થઈ હશે, પણ જો તપાસમાં તે દોષી સાબિત થશે, તો તેને કડક સજા આપવામાં આવશે. લગ્ન માટે કેતનના પરિવારે ઉદયપુરમાં અનંતા રિસોર્ટ બુક કરાવ્યો હતો. જેનો ખર્ચ 3 કરોડ રૂપિયા હતો, અને અમે લગ્ન માટે 5 કરોડ ખર્ચ કરવાના હતા.'