પુણે: પુણેના વેપારી કેતન અગરવાલ લોહગડ હત્યાકાંડ મામલામાં એક પછી એક નવા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. હવે મુખ્ય આરોપી સિયાએ પોલીસ સમક્ષ ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. હત્યાની આરોપી મંગેતર સિયા ગોયલે હવે પોલીસ સામે એક મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે કેતનના માથા પર વાળ નહોતા, એટલે તે વિગ પહેરતો હતો. આ વાત સિયાને બિલકુલ પસંદ નહોતી એટલે તે લગ્ન કરવા ઈચ્છતી નહોતી. સિયાએ એવો દાવો કર્યો છે કે આ જ કારણથી તેણે આરોપી ચેતન સાથે સબંધ રાખ્યો અને હત્યાનું ષડયંત્ર રચીને કેતનની હત્યા કરી હતી.
સિયા ગોયલે પૂછપરછ દરમિયાન એ પણ જણાવ્યું કે કેતન બોલવામાં હકલાતો હતો એ પણ તેને પસંદ નહોતું. કેતન સાથે લગ્ન નહીં કરવાના તેની પાસે ઘણા કારણો હતા. પહેલું એ કે તે ચેતન ચૌધરીને પ્રેમ કરતી હતી. બીજુ કેતનના માથા પર વાળ ઓછા હતા. ત્રીજું કારણ હતું કે કેતન હકલાતો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ લગ્ન નક્કી કરતા સમયે સિયાના પરિવારને આ વાતની જાણકારી હતી, પણ આ બાબતને તેને સામાન્ય માની લીધી હતી.
લગ્નની ના પાડીને પરિવારને દુઃખી કરવા ઇચ્છતી નહોતી
પોલીસે જયારે સિયાને પ્રશ્નો કર્યા કે તેણે કેતન સાથે લગ્ન કરવા નથી ઇચ્છતી એવું તેના પરિવારને કેમ જણાવ્યું નહીં. ત્યારે જવાબમાં સિયાએ પોલીસને કહ્યું કે આવું જણાવીને તે પોતાના પરિવારને દુઃખી કરવા માંગતી નહોતી. તેની જગ્યાએ તેને કેતનની હત્યા કરવાનો પ્લાન સરળ લાગ્યો હતો.
સિયાનો પ્લાન હતો કે તે કેતનની હત્યા કરી દેશે, તે ટ્રેકિંગ દરમિયાન નીચે પડી જશે અને તેનું મોત થઈ જશે. જેના પર કોઈ પ્રશ્ન પણ નહી ઉઠાવે કારણ કે તે વિસ્તારમાં સીસીટીવી કેમેરા પણ નથી એટલે કોઈને શંકા જશે નહીં.
સિયાની ધરપકડ પછી કોઈ મળવા આવ્યું નહોતું
લોનાવલા ગ્રામીણ પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર ધરપકડ પછી સિયા ગોયલને મળવા માટે કોઈ આવ્યું નથી. સામાન્ય રીતે કોઈના કોઈ તો પરિવારની વ્યક્તિ આવે છે, પરંતુ અત્યાર સુધીમાં કોઈ આવ્યું નથી. સિયાના ઘરે તેના માતાપિતા, ભાઈ રહે છે. ત્રણેયમાંથી કોઈ તેને મળવા સુદ્ધા આવ્યું નથી. એટલું જ નહીં, ચેતનના પિતા અપડેટ લેવા માટે આવે છે.