Sun Jun 14 2026

Logo

16 મહિના પછી સામસામે હશે પીએમ મોદી અને ટ્રમ્પ, G-7 સમિટમાં આ દિવસે થશે મુલાકાત

2026-06-14 10:58:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 17 જૂનના રોજ સાંજે 6:15 વાગ્યે (ભારતીય સમય અનુસાર) ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટની વચ્ચે (અલગથી) મુલાકાત કરશે. વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે, બંને નેતાઓ વચ્ચે સૂચિત 'ટ્રેડ ડીલ' (વ્યાપારી કરાર) પર ચાલી રહેલી વાતચીત આ બેઠકનો મુખ્ય એજન્ડા રહેશે. ફેબ્રુઆરી 2025માં વડાપ્રધાન મોદીની અમેરિકા યાત્રા પછી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે તેમની આ પહેલી મુલાકાત હશે.

વડાપ્રધાન મોદી 16-17 જૂનના રોજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંના આમંત્રણ પર G7 સમિટમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ G7 દેશોના નેતાઓ, ભાગીદાર દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વૈશ્વિક ભાગીદારી, ટકાઉ આર્થિક વિકાસ (Sustainable Economic Growth) અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના સુરક્ષિત ઉપયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સૂચિત 'ટ્રેડ ડીલ' (વ્યાપારી કરાર) પર વાતચીત ચાલી રહી છે અને મોદી-ટ્રમ્પની બેઠકમાં આ વિષય મુખ્ય રીતે ઉઠાવવામાં આવશે.

ટ્રેડ ડીલ હશે બેઠકનો મુખ્ય એજન્ડા?

વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 'આ વર્ષની શરૂઆતમાં બંને દેશોએ ટ્રેડ ડીલના જોઈન્ટ ફ્રેમવર્ક (સંયુક્ત માળખા) પર હસ્તાક્ષર કર્યા હતા અને તેને અંતિમ ઓપ આપવા માટે છેલ્લા એક વર્ષથી ગહન ચર્ચાઓ ચાલી રહી છે.' તેમણે ઉમેર્યું કે, 'ભારત અને અમેરિકા સ્વાભાવિક આર્થિક ભાગીદારો છે. ઉર્જા, ઔદ્યોગિક ઉત્પાદનો અને પસંદગીની કૃષિ વસ્તુઓના ક્ષેત્રમાં દ્વિપક્ષીય વેપાર વધારવાની મોટી સંભાવનાઓ છે. વડાપ્રધાન મોદી ભારતની ભૂમિકા અને ભારત-અમેરિકાના સંબંધોને લઈને ઘણો મહત્વાકાંક્ષી દ્રષ્ટિકોણ ધરાવે છે.'

વડાપ્રધાન મોદી G7 સમિટ પછી 18 જૂનના રોજ પેરિસ જશે, જ્યાં તેઓ વધારાની દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેવાની સાથે યુરોપના સૌથી મોટા ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ કાર્યક્રમ 'VivaTech Summit' માં પણ સામેલ થશે. આ સિવાય તેઓ ફ્રાન્સમાં વસતા ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.

ભારતીય નાવિકોનો મુદ્દો પણ ચર્ચામાં

બંને નેતાઓની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ઈરાન યુદ્ધ અને મધ્ય એશિયામાં વધી રહેલા તણાવની અસર ભારત પર પણ પડી રહી છે. 10 જૂનના રોજ 'એમટી સેટેબેલો' (MT Settebello) નામના એક ટેન્કર પર થયેલા અમેરિકી હુમલામાં 24 ભારતીય નાવિકોમાંથી ત્રણના મોત થયા હતા. મૃતકોમાં ડેક કેડેટ આદિત્ય શર્મા, એન્જિન ફિટર શિવાનંદ ચૌરસિયા અને ચીફ એન્જિનિયર પતનાલા સુરેશ સામેલ હતા.