ખૈબર પખ્તુનખ્વા : પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી પ્રવર્તી રહી છે. જેમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણમાં 14 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ પ્રદેશમાં હજુ પણ ઘણા સશસ્ત્ર જૂથો સક્રિય છે. આ અથડામણમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે.
આતંકવાદી કમાન્ડર મુમતાઝ ઇમ્તી પણ માર્યા ગયો
આ અંગે પોલીસે આપેલી માહિતી મુજબ અફઘાનિસ્તાનની સરહદે આવેલા સેન્ટ્રલ કુર્રમ જિલ્લાના મનતો કામરાન વિસ્તારમાં આતંકવાદી કમાન્ડરો - કાઝીમ અને મુમતાઝ ઇમ્તીના જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે ફાયરિંગ દરમિયાન મુમતાઝ ઇમ્તી પણ માર્યા ગયો છે.
આ અથડામણ બાદ સ્થાનિક રહેવાસીઓએ મૃતદેહોને તે જ વિસ્તારમાં દફનાવી દીધા હતા. જ્યારે વિવિધ આતંકવાદી જૂથોની હાજરીના અહેવાલો વચ્ચે સેન્ટ્રલ કુર્રમમાં અનેક કામગીરી હાથ ધરવામાં આવી છે.
અસીમ મુનીરે મંગળવારે ક્વેટા છાવણીની મુલાકાત લીધી
આ ઉપરાંત પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે મંગળવારે ક્વેટા છાવણીની મુલાકાત લીધી હતી. જ્યા તેમણે સંઘર્ષ ગ્રસ્ત બલુચિસ્તાન પ્રાંતમાં તૈનાત સૈનિકોના અધિકારીઓ અને સૈનિકો સાથે વાતચીત કરી હતી. તેમણે પ્રવર્તમાન સુરક્ષા વાતાવરણના વિવિધ પાસાઓ પર ભાર મૂક્યો હતો.તેમજ કહ્યું હતું કે પાકિસ્તાની સશસ્ત્ર દળો તમામ સ્વરૂપોમાં આતંકવાદને નાબૂદ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
ખૈબર પખ્તુનખ્વા પ્રાંત ખૂબ જ અસ્થિર પ્રદેશ
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત ખૂબ જ અસ્થિર પ્રદેશ છે. આ વિસ્તાર અફઘાનિસ્તાન સાથે સરહદ ધરાવે છે. સરહદના પર્વતીય ભૂપ્રદેશને કારણે આતંકવાદી જૂથોની હિલચાલ લાંબા સમય સુધી પ્રમાણમાં સરળ રહી છે. અફઘાન યુદ્ધોની અસર આ પ્રદેશમાં પણ સીધી રીતે અનુભવાઈ છે. અફઘાનિસ્તાનમાં અસ્થિરતા વચ્ચે અસંખ્ય આતંકવાદી સંગઠનો અહીં ઉભરી આવ્યા છે.