(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈ મહાનગરપાલિકા દરિયાઈ સપાટીમાં વધારો થવાના જોખમનો સામનો કરવા માટે એક વ્યાપક ક્લાઈમેટ ચેન્જ ઍક્શન પ્લાન (આબોહવા પરિવર્તન કાર્ય યોજના) ઘડવા જઈ રહી છે.
સ્થાનિક સંગઠન નેટકનેક્ટ ફાઉન્ડેશને વડા પ્રધાન કાર્યાલયને પત્ર લખીને દરિયાઈ સપાટીમાં વધારો, દરિયાકાંઠાના ધોવાણ અને બિનઆયોજિત વિકાસથી દરિયાકાંઠાના ગામડાઓ, નગરો અને શહેરોના રક્ષણ માટે હસ્તક્ષેપની માંગ કરી હતી.
ફાઉન્ડેશનને લખેલા પત્રમાં નવી મુંબઈ મહાગરપાલિકાએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત યોજના આબોહવા સ્થિતિ સ્થાપકતા સુધારવા, ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા, ગ્રીન હાઉસ જગ્યાઓ અને જળાશયોનું સંરક્ષણ કરવા, ટકાઉ શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા અને આબોહવા અનુકૂલન પગલાં અમલમાં મૂકવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
પાલિકાના નિર્ણયનું સ્વાગત કરતા સંસ્થાએ અધિકારીઓને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન સલામતી વધારવા, નબળાઈ અભ્યાસ હાથ ધરવા અને ભવિષ્યના તમામ દરિયાકાંઠાના પ્રોજેક્ટ માટે આબોહવા-જોખમ મૂલ્યાંકન ફરજિયાત બનાવવા વિનંતી કરી હતી. તેમણે ખારઘર ખાતે પીએમએવાય પ્રોજેક્ટના નિરીક્ષણ પર કાર્યવાહીના અભાવ અંગે પણ ચિંતા વ્યક્ત કરીને આરોપ કર્યો હતો કે રીક્લેમેશન, ટેકરીઓ કાપવા અને મેન્ગ્રોવ્ઝને નુકસાન અને વેટલેન્ડને કારણે પૂર અને તોફાનનું જોખમ વધ્યું છે.