Fri Apr 17 2026

Logo

TCS કાંડ: "બધું ખોટું છે, ધર્માંતરણ જેવું કંઈ નથી", આરોપી શાહરૂખની પત્નીનો મોટો ખુલાસો

2026-04-16 17:21:27
Author: Mumbai Samachar Team
Article Image

નાશિકઃ નાશિકના TCS BPO કેસમાં આરોપી શાહરૂખની પત્નીનું નિવેદન સામે આવ્યું છે. એમની પત્નીનું એવું કહેવું છે કે, ધર્માંતરણ જેવી કોઈ વાત જ નથી. સમગ્ર કેસને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. આરોપીની પત્નીએ ધરપકડની પ્રક્રિયા અને પુરાવા પર ગંભીર સવાલો ઊઠાવ્યા હતા. પોલીસની સાથે અન્ય એજન્સી પણ આ કેસની તપાસ કરી રહી છે, ત્યારે કેસમાં મુખ્ય એચઆર મેનેજર નિદા ખાન પણ ફરાર છે, ત્યારે આ કેસમાં આરોપીની પત્નીના ઈન્ટરવ્યૂને કારણે નવી ચર્ચા જાગી છે.

નાશિકમાં TCS BPOનો કેસ સતત ચર્ચામાં છે. હવે આ કેસમાં ધર્માંતરણ, યુવતીઓ પર અત્યાચાર અને સંગઠિત રીતે કર્મચારીઓને ટાર્ગેટ કરવાની વાત સામે આવી છે, જોકે આ ગંભીર આરોપ છે. આ કેસમાં પોલીસે કેટલાક આરોપીને પોલીસે પકડી પાડ્યા છે અને કાયદેસરના પગલાં લેવામાં આવી રહ્યા છે. હજુ પણ કેટલાક શખસ આ તપાસના દાયરામાં છે. આ માહોલ વચ્ચે આરોપી શાહરૂખની પત્નીએ તમામ આરોપોને ફગાવી દીધા છે. 

ખરેખર ખોટી વાત છે

આરોપી શાહરૂખની પત્નીએ કહ્યું હતું કે, જે રીતે સમગ્ર કેસને રજૂ કરવામાં આવ્યો એના કરતા હકીકત ગણી અલગ છે. સૌથી પહેલા તો એ સમજવું જોઈએ કે, આખરે FIRમાં શું લખવામાં આવ્યું છે? હું એટલું જ કહેવા માગુ છું કે, FIRમાં જે વાત કહેવામાં આવી છે એમાં ધર્મ પરિવર્તન અથવા કોઈ રેકેટ ચાલી રહ્યું છે એવા કોઈ આરોપ નથી. માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે,એ માત્ર મજાક હતી અથવા એ મુદ્દા પૂરતી વાતચીત હતી. પણ આને કોઈપણ રીતે ધર્માંતરણના રેકેટ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે, જે ખરેખર તો ખોટું છે, આ બધુ ખરેખ ફેક છે. 

જજ કરીને પરેશાન કરવું યોગ્ય નથી

મહિલા કર્મચારીઓના ડ્રેસ પર વાંધાજનક ટિપ્પણીઓને લઈને તેમણે કહ્યું કે, કોર્પોરેટ સેક્ટરમાં જો કોઈ કપડાં પર કમેન્ટ કરે છે તો સામાન્ય રીતે એ કોમ્પ્લિમેન્ટ હોય છે. એનો અર્થ એ નથી કે, કોઈને જજ કરવામાં આવે અથવા પરેશાન કરવામાં આવે, જે રીતે આ મુદ્દાને રજૂ કરવામાં આવી રહ્યો છે એવું બિલકુલ નથી. આરોપોને વધારે પડતા મુદ્દાઓથી જોઈને રજૂ કરવામાં આવી રહ્યા છે. કેટલીક ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, મહિલા કર્મચારીઓને રિસોર્ટ લઈ જવાની ઓફર આપવામાં આવી હતી.આ વિષય પર શાહરૂખની પત્નીએ કહ્યું કે, આ વિષય ખોટો છે અને મુદ્દો ફેક છે. 

કેમ્પસના બધા લોકો જાણે છે

જે યુવતીઓના નામ સામે આવ્યા છે અમે એમને હજુ સુધી જોઈ પણ નથી. મારા પતિ ખુદ એક ટીમ લીડર છે, એમની નીચે 15-20 લોકો કામ કરે છે. એમાંથી જો કોઈ ભૂલ કરે છે તો એમને ખીજાઈ પણ છે. સારૂ કામ કરે તો શાબાશી પણ આપે છે પણ જે આરોપ લાગી રહ્યા છે એ પાયાવિહોણા છે.

અન્ય આરોપી દાનિશ અને એક મહિલા કર્મચારી વચ્ચે લાંબા સમયથી એક સંબંધ હતો,  હવે આના પર ચર્ચા કરવામાં આવી રહી છે.જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી એ મહિલા અને આ વ્યક્તિ વચ્ચે છેલ્લા ચાર વર્ષથી સંબંધ છે.આ વાત તો કેમ્પસમાં બધા જાણતા જ હતા. બે વ્યક્તિ વચ્ચે કોઈ રીલેશનશીપ છે તો આ એમનો વ્યક્તિગત મામલો છે. પણ આને કોઈ ગુના સાથે જોડવું ખોટું છે. 

અગાઉ કેમ ફરિયાદ ન કરી?

પોતાના રેકોર્ડનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, હું ઘણા વર્ષોથી અહીંયા કામ કરૂ છું, જો એવું કંઈ છે તો પહેલા પણ ફરિયાદ થઈ જોઈતી હતી. પણ આજ સુધી એમની સામે કોઈ પ્રકારની ફરિયાદ થઈ નથી. તાજેતરમાં જ કંપની દ્વારા લેવાતી એક મોટી પરીક્ષા પણ પાસ કરી છે, પ્રમોશન મળ્યું છે. અચાનક આટલા ગંભીર આરોપ અનેક પ્રકારના સવાલ પેદા કરે છે.

એફઆઈઆરમાં એવો પણ આરોપ છે કે, હિન્દુ દેવી-દેવતાઓ પર વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ મુદ્દે હું એટલું જ કહીશ કે, તેમણે ક્યારેય આવી વાત કરી નથી. TCS જેવી રેપ્યુટેડ કંપનીમાં  કામ કરાનાર વ્યક્તિ આ પ્રકારની વાત કેવી રીતે કરી શકે? આ મુદ્દો સમજના દાયરાની બહાર છે. 

પોલીસે ધરપકડ કરી લીધી

પહેલી એપ્રિલના રોજ પોલીસ સિવિલ ડ્રેસમાં ઘરે આવી અને કહ્યું કે, સ્ટેટમેન્ટ પર સહી કરાવવા માટે શાહરૂખને સાથે લઈ જઈએ છીએ. અમે તો સંપૂર્ણ રીતે આ કેસમાં સહયોગ કરી રહ્યા હતા એટલે જ પોલીસ સાથે ગયા હતા. પછી ખ્યાલ આવ્યો કે, એમની તો ધરપકડ કરવાનું આયોજન હતું. કોઈ નોટિસ આપવામાં ન આવી અને કોઈ વાતચીત કરવામાં ન આવી. આટલા ગંભીર આરોપ હતા તો જાણકારી કેમ ન આપવામાં આવી? કોઈ વ્યક્તિ સાથે ખોટું થતું જ હતું તો અગાઉ કેમ કોઈ પ્રકારની ફરિયાદ ન કરી. .

કંપની મેનેજર, સિનિયર અધિકારીને કેમ કોઈ વાત ન કરી? ડાયરેક્ટ આરોપ લગાવીને ધરપકડ કરવી અને મીડિયા સામે ખોટું રજૂ કરી દેવું યોગ્ય નથી. અમારો પરિવાર તપાસમાં પૂરો સહયોગ આપી રહ્યો છે. સત્ય સામે આવશે અને અમને પણ ન્યાય મળશે