રાજ્યમાં ₹ 484 કરોડના ખર્ચે બનેલી 9 આંતરમાળખાકીય સુવિધાઓનું લોકાર્પણ
નાગપુર: રાજ્યના નાગરિકોને સુરક્ષિત, કાર્યક્ષમ અને ટેકનોલોજી આધારિત પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે જ રેલવે ફાટકોના અભાવે (ખુલ્લા ફાટકોને કારણે) થતા અકસ્માતો નિવારવા માટે આગામી ત્રણ વર્ષમાં 145 રેલ્વે ઓવરબ્રિજના નિર્માણને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને મહારાષ્ટ્રને રેલ્વે ફાટક મુક્ત કરવામાં આવશે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
વર્ધમાનનગર ખાતે રેલવે ક્રોસિંગ પર ફોર-લેન રોડ ઓવરબ્રિજ તેમજ રાજ્યમાં ₹ 484 કરોડના ખર્ચે તૈયાર થયેલી નવ મહત્વપૂર્ણ આંતરમાળખાકીય સુવિધાઓનું લોકાર્પણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે થયું હતું.
ફાટકોના કારણે વર્ષે 21,000 લોકોનાં મોત
રેલવે ફાટકોના કારણે દર વર્ષે 21,000 લોકોના મોત થતા હોવાથી મહારાષ્ટ્રને રેલવે ફાટકમુક્ત કરવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી હોવાનું જણાવતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, રાજ્યમાં 524 રેલવે ફાટકોની જરૂરિયાત (સુધારાની) છે, જેમાંથી 10 હજારથી વધુ ટ્રાફિક ઘનતા ધરાવતા 121 ફાટકોની સાથે અન્ય 145 રેલવે બ્રિજના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ તમામ કામ આગામી ત્રણ વર્ષમાં 'મહારેલ' દ્વારા પૂર્ણ કરવામાં આવશે. રેલવે પ્રોજેક્ટ્સ સંબંધિત બાંધકામ માટે 'મહારેલ'ની સ્થાપના કરવાને કારણે આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસને વેગ મળ્યો છે.
જટિલ પુલોના નિર્માણકાર્ય ઝડપથી પૂર્ણ કર્યું
નાગપુર સહિત મુંબઈમાં પણ અત્યંત જટિલ પુલોના નિર્માણનું આયોજનબદ્ધ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યું છે. મહારેલ દ્વારા નવીન ટેકનોલોજી અપનાવવામાં આવી છે અને આ માટે પેટન્ટ પણ મેળવવામાં આવી છે. કામની ગતિ અને ઓછા ખર્ચે કામની ગુણવત્તા જાળવી રાખીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો પૂર્ણ કરવા બદલ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાના ભાષણમાં ગૌરવ વ્યક્ત કર્યો હતો.
શહેરમાં રોજગારીની મોટા પાયે તકો ઊભી થઈ
નાગપુર શહેર તેમ જ રસ્તાઓના વિકાસ માટે મોટા પાયે આંતરમાળખાકીય કામો ચાલી રહ્યા હોવાથી ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે અને મોટા પાયે રોજગારીની તકો ઊભી થઈ રહી છે, જેના કારણે સામાજિક અને આર્થિક વિકાસ થઈ રહ્યો હોવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ પ્રસંગે જણાવ્યું હતું.
કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે પારડી ખાતેના ઓવરબ્રિજની સાથે સ્થાનિક વેપારીઓ માટે આધુનિક શાકભાજી માર્કેટ તેમ જ સ્પોર્ટ્સ ક્લબનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના ₹ 150 કરોડના ખર્ચમાંથી ₹ 40 કરોડનું ભંડોળ NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા આપવામાં આવશે.
પૂર્વ નાગપુર વિસ્તારમાં મોટા પાયે શૈક્ષણિક સુવિધાઓ ઊભી થઈ છે અને કચરામાંથી સીએનજી (CNG) ઉત્પાદનનો પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે. મહારેલ દ્વારા મોટા પાયે આંતરમાળખાકીય કામો શરૂ છે અને તે ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ રહ્યા છે. મેટ્રો પ્રોજેક્ટને કારણે નાગપુરનું ગૌરવ વધ્યું હોવાનું પણ તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું.