નવી દિલ્હીઃ ભાજપે રવિવારે જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા પર પ્રહાર કરતા દાવો કર્યો કે ભાજપ નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ આ આરોપોને "અત્યંત બેજવાબદાર અને પાયાવિહોણા" ગણાવ્યા હતા. ત્રિવેદીએ માંગ કરી કે અબ્દુલ્લા નક્કર પુરાવા રજૂ કરે અથવા ઔપચારિક માફી માંગે. આરોપોનો જવાબ આપતા ત્રિવેદીએ આરોપ લગાવ્યો કે અબ્દુલ્લા પોતાની નિષ્ફળતાઓ છૂપાવવા માટે આ દાવા કરી રહ્યા છે.
સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો
ભાજપે કહ્યું કે "અંદાજિત અને પાયાવિહોણા" દાવા કરવાને બદલે તેમણે "આત્મનિરીક્ષણ" કરવું જોઈએ કે તેમની પાર્ટીમાં કેવા પ્રકારના નેતાઓ છે. નોંધનીય છે કે શનિવારે અબ્દુલ્લાએ ભાજપ પર શાસક નેશનલ કોન્ફરન્સમાં ભાગલા પાડીને જમ્મુ અને કાશ્મીર (જે-કે) માં તેમની સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે તેમના પક્ષના ધારાસભ્યોને પક્ષ બદલવા માટે 20-30 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી.
શ્રીનગરમાં કાર્યકર્તા સંમેલનને સંબોધતા અબ્દુલ્લાએ દાવો કર્યો કે ભાજપ તેમના ધારાસભ્યોને ખરીદવા માટે પૈસાની તાકાતનો ઉપયોગ કરી રહી છે.
બ્દુલ્લાના આરોપને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાને પૂછવામાં આવતા તેમણે અબ્દુલ્લાના આરોપને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા અને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એવી કોઈ પણ કાર્યવાહીમાં માનતી નથી જે લોકશાહીને નુકસાન પહોંચાડે અથવા લોકશાહી ભાવનાની વિરુદ્ધ હોય.
ભાજપના સાંસદે કહ્યું કે "મને આશ્ચર્ય થાય છે જ્યારે કોઈ નેતા પોતાના પક્ષના સભ્યો વિશે આ રીતે વાત કરે છે, દાવો કરે છે કે તેના લોકોને 30 કરોડ કે 12 કરોડ રૂપિયા જેવી રકમમાં ખરીદી શકાય છે. તે મને તે સમયની યાદ અપાવે છે જ્યારે સુષ્મા (સ્વરાજ) એ સંસદમાં પૂછ્યું હતું: શું તમારા સાંસદો વેચાવા માટે તૈયાર છે? શું તમારા ધારાસભ્યો વેચાવા માટે તૈયાર છે?.. શું તમને તમારા પોતાના નેતાઓમાં એટલો વિશ્વાસ પણ નથી કે તેઓ પોતાને વેચશે નહીં?" પાત્રાએ કહ્યું, "મને લાગે છે કે જો આવું હોય તો થોડું આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે પાર્ટીમાં કેવા પ્રકારના લોકો છે જેમને ખરીદી શકાય છે."
આરોપોને અત્યંત બેજવાબદાર
શનિવારે ભાજપના રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ અબ્દુલ્લાની ટીકા કરી અને તેમના આરોપોને "અત્યંત બેજવાબદાર અને પાયાવિહોણા" ગણાવ્યા હતા. ત્રિવેદીએ એવી પણ માંગણી કરી હતી કે જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન તેમના આરોપોને સાબિત કરવા માટે પુરાવા આપે અથવા માફી માંગે.
માનહાનિનો કેસ દાખલ કરશે
જમ્મુ-કાશ્મીરના ભાજપના પ્રવક્તા અને ધારાસભ્ય આર.એસ. પઠાનિયાએ કહ્યું કે જો અબ્દુલ્લા માફી નહીં માંગે તો ભાજપ "લોકોમાં મૂંઝવણ પેદા કરવાના હેતુથી ભ્રામક અને અપ્રમાણિત આરોપો કરવા બદલ તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરશે" પઠાનિયાએ કહ્યું, "મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ કથિત રીતે પૈસાની ઓફર કરાયેલા ધારાસભ્યોના નામ જાહેર કરવા જોઈએ, સંડોવાયેલા ભાજપના નેતાઓની ઓળખ જાહેર કરવી જોઈએ અને કથિત ઓફર ક્યારે અને ક્યાં કરવામાં આવી હતી તે જાહેર કરવું જોઈએ. જો આટલી ગંભીર ઘટના બની હોય તો તપાસ એજન્સીઓને તેની જાણ કેમ કરવામાં આવી ન હતી?" "