મુંબઈ/બીડઃ મહારાષ્ટ્રના યવતમાળના ટિપેશ્વર વન્યજીવ અભયારણ્યનો એક વાઘ, તાજેતરમાં ત્યાંથી ૪૦૦ કિલોમીટર દૂર આવેલા બીડ જિલ્લાના પહાડી વિસ્તારમાં કેમેરામાં કેદ થયો હતો, તે હવે પાડોશી ધારાશિવ જિલ્લામાં પહોંચી ગયો છે. વન્યજીવ નિષ્ણાતો વિદર્ભથી મરાઠવાડાના પહાડી વિસ્તારો સુધીના લાંબા પ્રવાસને પર્યાવરણીય સ્વાસ્થ્ય અને જૈવવિવિધતાના સકારાત્મક સંકેત તરીકે જુએ છે.
છેલ્લા બે વર્ષથી કાયમી રહેઠાણની શોધમાં આ વાઘ મધ્ય મહારાષ્ટ્રના પાંચ જિલ્લાઓ બીડ, લાતુર, ધારાશિવ, સોલાપુર અને અહિલ્યાનગરમાં ફરી રહ્યો છે. તે ૧૦ ડિસેમ્બર, ૨૦૨૫ અને ૨૭ જુલાઈ, ૨૦૨૬ના રોજ બીડના આષ્ટી પહાડી વિસ્તારમાં જોવા મળ્યો હતો.
૧૩ ઓગસ્ટે બ્રહ્મગાંવમાં પશુના શિકારની ઘટના બાદ વન વિભાગે કેમેરા ટ્રેપ્સ ગોઠવ્યા હતા, જેમાં ૨૦ ઓગસ્ટે તેની હિલચાલ કેદ થઈ હતી. આશરે ૧૦ દિવસ બાદ, ૨૯ ઓગસ્ટે ધારાશિવ જિલ્લાના વાશી તાલુકાના યશવંડી નજીક તે ફરીથી જોવા મળ્યો હતો, તેમ આષ્ટી રેન્જના વન અધિકારી અમોલ મુંડેએ સોમવારે જણાવ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેનું ત્યાં લાંબો સમય રોકાવું પૂરતા પ્રમાણમાં પાણીના સ્ત્રોતોની સાથે શિકારની પૂરતી ઉપલબ્ધતા સૂચવે છે. એ વાતનો નક્કર પુરાવો પણ પૂરો પાડે છે કે ટિપેશ્વરને ધારાશિવ સ્થિત યેદશી રામલિંગ ઘાટ અભયારણ્ય સાથે જોડતો કુદરતી વન્યજીવ કોરિડોર સક્રિય અને કાર્યરત છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, યેદશી વિસ્તાર આ બિલાડી-કુળના પ્રાણીના રહેઠાણ માટે અનુકૂળ બની ગયો છે.
"વાઘ હાલમાં ભૂમ અને ધારાશિવની સરહદોને અડીને આવેલા તેરખેડા-યેશવંડી વિસ્તારમાં ફરી રહ્યો છે અને સંભવતઃ નાલદુર્ગ તથા યેદશી તરફ આગળ વધી રહ્યો છે," એમ મુંડેએ જણાવ્યું હતું.
(પીટીઆઈ)