Sun Jun 14 2026

Logo

ભારતીય સેનાને મળશે નવા ‘ચીફ ઓફ આર્મી સ્ટાફ’, જાણો કોણ છે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ

2026-06-13 17:44:00
Author: Vimal Prajapati
Article Image

Ministry of Defence


નવી દિલ્હી: ભારત સરકારે સૈન્ય નેતૃત્વમાં મોટો ફેરફાર કરતા લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠને દેશના આગામી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ વર્તમાન સમયમાં ભારતીય સેનાના 'વાઇસ ચીફ' તરીકે કાર્યરત છે. આ અગાઉ તેઓ દક્ષિણી આર્મી કમાન્ડર તરીકે સેવા આપી ચૂક્યા છે અને સૈન્યના મહત્વના 'ઓપરેશન સિંદૂર'માં પણ તેમણે અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે તેમને એક મોટી જવાબદારી આપવામાં આવી છે. લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ 30 જૂન 2026થી સત્તાવાર રીતે ચીફ ઓફ આર્મી સ્ટાફનો પદભાર સંભાળશે. ઉલ્લેખનીય છે કે, આ જ દિવસે વર્તમાન આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સેવાનિવૃત્ત થઈ રહ્યા છે.

કોણ છે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ? 

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડમી (NDA), ખડકવાસલાના વિદ્યાર્થી રહ્યા છે. ડિસેમ્બર 1986માં તેમને આર્મ્ડ કોર્પ્સ (Aromoured Corps)માં કમિશન આપવામાં આવ્યું હતું. લગભગ ચાર દાયકાની તેમની શાનદાર સૈન્ય કારકિર્દી દરમિયાન, તેમણે ઓપરેશનલ, સ્ટ્રેટેજિક, ક્ષમતા વિકાસ અને સંસ્થાકીય ક્ષેત્રોમાં વ્યાપક અનુભવ મેળવ્યો છે. ભારતીય સેનાની યુદ્ધ ક્ષમતા વધારવામાં અને લાંબા ગાળાના આધુનિકીકરણમાં તેમનું યોગદાન અજોડ રહ્યું છે.

તેમણે દેશના વિવિધ ઓપરેશનલ વિસ્તારોમાં અલગ-અલગ અને પડકારજનક જવાબદારીઓ સંભાળી છે. લેફ્ટનન્ટ જનરલ તરીકે, તેમણે ભારતીય સેનાના મુખ્ય સ્ટ્રાઇક ફોર્મેશનમાંના એક 'સુદર્શન ચક્ર કોર'નું સફળ નેતૃત્વ કર્યું છે. તેમણે દિલ્હી એરિયાના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) તરીકે પણ સેવા આપી છે. આર્મી કમાન્ડર બન્યા પછી, તેમણે સાઉથ વેસ્ટર્ન કમાન્ડ અને સધર્ન કમાન્ડ એમ બંને મહત્વની આર્મી કમાન્ડની કમાન સંભાળી છે. તેમની પાસે અઢી વર્ષથી વધુ સમય સુધી વ્યૂહાત્મક સરહદી વિસ્તારોની દેખરેખ રાખવાનો બહોળો અનુભવ છે.

ભવિષ્યના યુદ્ધક્ષેત્રની જરૂરિયાતો અને ઓપરેશનલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવી ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો, તે બાબતમાં લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠની વ્યૂહાત્મક સમજ અદ્ભુત માનવામાં આવે છે. પોતાના સમગ્ર કાર્યકાળ દરમિયાન તેઓ એક અત્યંત કુશળ અને વિઝનરી ઓફિસર સાબિત થયા છે. તેમણે ફ્રાન્સના પેરિસમાં પ્રતિષ્ઠિત 'કમાન્ડ એન્ડ સ્ટાફ કોર્સ' પણ કર્યો છે, જે તેમની સૈન્ય બાબતોની ઊંડી સમજ અને વ્યાપક વ્યૂહાત્મક વિચારસરણીને દર્શાવે છે.

ભારતીય સેના વિશ્વની સૌથી શક્તિશાળી અને શિસ્તબદ્ધ સેનાઓ પૈકીની એક છે. વૈશ્વિક સ્તરે પણ ભારતીય સૈનિકોના સાહસ અને યુદ્ધ કૌશલ્યની પ્રશંસા થાય છે. આવા કપરા સમયમાં જનરલ ધીરજ સેઠના ચીફ ઓફ આર્મી સ્ટાફ બનવાથી ભારતીય સેનાના આધુનિકીકરણ અને સૈનિકોના કૌશલ્યમાં વધુ વધારો થશે તે નિશ્ચિત છે.