જમ્મુ કાશ્મીર : જમ્મુ કાશ્મીરમાં સેનાના 40 જવાનો પર એફઆઇઆર દાખલ કરવાની માહિતી પ્રકાશમાં આવી છે. જેમાં સેનાના કર્નલ, મેજર, નાયબ સુબેદારનું નામ સામેલ છે. સેનાના જવાનો પર આ એફઆઇઆર જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના અથોલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
પોલીસ અધિકારીઓ પર હુમલો અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ
આ એફઆઇઆરમાં 17 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ એન. અરુણ ગાંધી, મેજર વિકાસ શર્મા, નાયબ સુબેદાર શંકર ગુરખે અને અન્ય અજાણ્યા સૈન્ય કર્મચારીઓના નામ છે. આ કર્મચારીઓ પર પોલીસ સ્ટેશનમાં પ્રવેશીને પોલીસ ડીવાયએસપી અને સ્ટેશન હાઉસ ઓફિસર એસએચઓ સહિત પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાનો તેમજ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ છે.
સેનાએ કહ્યું છે આ કેસમાં તે પૂરતો સહયોગ આપશે
જ્યારે સેનાએ કહ્યું છે આ કેસમાં તે પૂરતો સહયોગ આપશે. તેમજ સંયુકત તપાસના રિપોર્ટના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, ભારતીય સેના કાયદાનું સંપૂર્ણ સન્માન કરવામાં આવશે. તેમજ હાલ આ અંગે કોઇપણ ટિપ્પણી કરવી યોગ્ય નથી.
આ હુમલામાં બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા
આ અંગે મળતી માહિતી મુજબ આ હુમલામાં બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. તેમજ એફઆઈઆર મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ કિશ્તવાડના ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં પદ્દર બ્લોક ડેવલપમેન્ટ ઓફિસમાં એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેમને પોલીસ સ્ટેશનમાં હિંસક ઘટનાની માહિતી મળી અને તેઓ તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા.