Thu Jun 18 2026

Logo

ઈરાનના વધુ એક જહાજ પર હુમલો કરશે અમેરિકા?: શ્રીલંકન પ્રધાને કર્યો મોટો દાવો

colambo   2026-03-05 17:31:11
Author: Mumbai Samachar Team
Article Image

કોલંબો, શ્રીલંકાઃ અમેરિકા હવાઈ માર્ગે તો ઈરાન પર હુમલો કરી રહ્યું હતું. પરંતુ હવે દરિયામાં પણ ઈરાનને નિશાન બનાવી રહ્યું છે. શ્રીલંકાના દક્ષિણ કિનારા પર હિંદ મહાસાગરમાં બુધવારે ઈરાની નૌકાદળના ફ્રિગેટ 'IRIS દેના' પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઈરાનનું આખું જહાજ ડૂબી ગયું અને મોટી જાનહાનિ થઈ છે. હવે શ્રીલંકાના એક પ્રધાને એવો સંકેત આપ્યો કે અન્ય એક ઈરાની જહાજ ખતરામાં છે, તેના પર પણ અમેરિકા હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. 

શ્રીલંકાના સરકારી પ્રવક્તાએ કર્યો આ દાવો

શ્રીલંકાના સરકારી પ્રવક્તા અને પ્રધાન નલિન્દા જયથિસ્સા દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. તેમણે સંસદમાં કહ્યું કે, એક ઈરાની જહાજ તેમની જળસીમામાં પ્રવેશ કરવાની મંજૂરી માંગી રહ્યું છે. અત્યારે શ્રીલંકા તેના પર વિચાર કરી રહ્યું છે. ઈરાનના જહાજ પર રહેલા લોકોની સુરક્ષા માટે સરકાર સંપૂર્ણ પ્રયત્ન કરશે અને તેના માટે અત્યારે વિચારણા ચાલી રહી હોવાનું સરકારી પ્રવક્તા અને પ્રધાન નલિન્દા જયથિસ્સાએ જણાવ્યું છે. 

લંકાના ઈઈ ઝોનમાં છે ઈરાની જહાજ

વધુમાં પ્રધાન નલિન્દા જયથિસ્સાએ કહ્યું કે, અમે પ્રાદેશિક શાંતિ અને જહાજ પર સવાર તમામ લોકોની સલામતી જાળવવા માટે આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ જહાજ એટલે કે ઈરાની જહાજ અત્યારે શ્રીલંકાના એક્સિડેન્ડડ ઇકોનોમિક ઝોન (EEZ)માં છે અને શ્રીલંકન સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. હજી સુધીમાં આ જહાજ શ્રીલંકાની દરિયાઈ સીમામાં પ્રવેશ નથી કર્યો તે પણ નલિન્દા જયથિસ્સાએ દાવો કર્યો છે. 

ઈરાનના વિદેશ પ્રધાને અમેરિકાને આપી ધમકી

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ઈરાનના આ જહાજ દ્વારા શ્રીલંકા પાસે કટોકટી સહાયની વિનંતી કરવામાં આવી છે. ચિંતાની વાત એટલા માટે છે કે, અમેરિકાએ ફ્રિગેટ IRIS દેના પર હુમલો કર્યો તે પછી ઈરાનના વિદેશ પ્રધાને અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી હતી. 

દરિયાઈ સીમામાં કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યા વિના જ હુમલો કરીને મોટો ગુનો કર્યો છે, જેથી અમેરિકાને આ ભૂલનો પછતાવો થશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. જેથી બની શકે કે, અમેરિકા બીજા હુમલા માટે તૈયારી કરી રહ્યું હોય! શ્રીલંકન સરકાર દ્વારા પણ અત્યારે કહેવામાં આવ્યું છે કે, હજી એક ઈરાની જહાજ ખતરામાં છે.