નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને લઈને દુનિયાભરના દેશમાં ક્રૂડ ઓઈલને લઈ ચિંતા વધી રહી છે, જોકે ભારત સરકારે એ સ્પષ્ટતા કરી છે કે, હાલમાં તેલ અને ગેસનો પૂરતો સ્ટોક છે. દેશમાં ગેસ, પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત ઊભી નહીં થાય.
આ માહોલ વચ્ચે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરીએ જણાવ્યું હતું કે, દેશમાં ગેસ અને તેલનો પૂરતો સ્ટોક છે. અફવાઓને કારણે લોકો ખોટી દોડધામ કરી રહ્યા છે, જે ન કરવી જોઈએ. અફવાઓને કારણે ગેસની માગ અચાનક વધી ગઈ છે.
ગેસનું વિતરણ ફરી નિયમિત થશે
કમર્શિયલ ગેસનું વિતરણ ફરી એકવાર નિયમિતપણ થઈ જશે.ગ્રામિણ વિસ્તારમાં ગ્રાહકો 45 દિવસની અંદર એનું બુકિંગ કરાવી શકે છે. આ પ્રકારની સુવિધા આપવામાં આવી છે. ભારતીય રિફાઈનરીની પૂરી ક્ષમતાથી ઉત્પાદન પણ કરી રહી છે.
દેશવાસીઓએ ચિંતા કરવાની જરૂર નથી. દેશની મોટી તેલ કંપનીઓએ પણ પોતાની ચોખવટ કરતા કહ્યું હતું કે, દેશમાં ફ્યૂલ પૂરતા પ્રમાણમાં છે. ફ્યુઅલ સ્ટેશન સામાન્ય રીતે સરળતાથી સંચાલિત થઈ રહ્યા છે. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક આપણી પાસે છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, માત્ર વિશ્વસનીય જાણકારીઓ પર જ ભરોસો કરવો અને અફવાઓથી દૂર રહેવું.
ભારતમાં ઓઈલ માર્કેટ
ભારત કુલ જરુરિયાતના 80 ટકા ફ્યુઅલની આયાત કરે છે. હવે વૈશ્વિક માર્કેટમાં કોઈ પ્રકારની અસ્થિરતા ઊભી થશે તો જ ભારતને તેની અસર થશે. વૈશ્વિક ધોરણે માહોલ શાંત થાય એવા પ્રયાસ થઈ રહ્યા છે. ઈરાન ઈઝરાયલ યુદ્ધ શરૂ થયે બે અઠવાડિયાનો સમય વીતી ચૂક્યો છે. નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે, જો આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલું રહ્યું તો ક્રૂડ ઓઈલ પર તેની સીધી અસર થશે, ભારતમાં પણ એની અસર વર્તાશે. આના કારણે અર્થવ્યવસ્થાને પણ મોટો ફટકો પડી શકે છે