Thu Jun 18 2026

Logo

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધથી ભારતને શું થશે અસર? શું પાકિસ્તાન માટે સાબિત થશે લોટરી?

2026-02-28 16:53:22
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: મધ્ય એશિયામાં ફરી એકવાર ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું છે, જેના કારણે વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કર્યો છે, જેમાં આયતુલ્લાહ ખામેનેઈના કાર્યાલય અને નિવાસસ્થાનને નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની જનતાને સત્તાની બાગડોર હાથમાં લેવા અપીલ કરી છે, જ્યારે ભારત સરકારે ઈઝરાયેલ અને ઈરાનમાં રહેતા પોતાના નાગરિકો માટે તાકીદની એડવાઈઝરી જારી કરી છે.

ભારત માટે આ યુદ્ધ વ્યૂહાત્મક અને આર્થિક દૃષ્ટિએ અત્યંત મહત્વનું છે, કારણ કે ઈરાન અને ઈઝરાયેલ બંને ભારતના મિત્ર રાષ્ટ્રો છે. ભારત ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં તેલની આયાત કરે છે અને વર્ષ 2016માં પ્રધાનમંત્રી મોદીની મુલાકાત દરમિયાન ચાબહાર બંદર અંગે ઐતિહાસિક સમજૂતી કરવામાં આવી હતી. જોકે, આ વખતે પ્રથમવાર ચાબહાર માટે બજેટ ફાળવવામાં આવ્યું નથી, જે એક નોંધપાત્ર ઘટના છે. મધ્ય એશિયા સાથે જોડાવા માટે ભારત માટે ઈરાનનો રસ્તો અને ચાબહાર પોર્ટ ચીન-પાકિસ્તાનને જવાબ આપવા માટે ખૂબ જ નિર્ણાયક છે.

જો આ યુદ્ધ લાંબુ ખેંચાય તો ચીન અને પાકિસ્તાન તેનો ભરપૂર ફાયદો ઉઠાવવાની કોશિશ કરી શકે છે. ચીન પાકિસ્તાનના ગ્વાદર બંદર દ્વારા પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે અને જો ચાબહારનો માર્ગ અવરોધાય તો મધ્ય એશિયામાં ભારતની પકડ ઢીલી પડી શકે છે. આ સ્થિતિમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના વ્યાપારિક સંબંધો પ્રભાવિત થશે, જેનો સીધો લાભ ચીન અને પાકિસ્તાનને મળી શકે તેમ છે.

આર્થિક રીતે ભારતને રેયર અર્થ મિનરલ્સ અને યુરેનિયમ જેવી સામગ્રીની સપ્લાયમાં પણ અવરોધ આવી શકે છે, કારણ કે કઝાકિસ્તાન જેવા દેશો સાથેનો વ્યાપાર ઈરાનના રસ્તે જ થાય છે. આ ઉપરાંત, ઈરાનમાં વસતા ૨૫,૦૦૦ થી વધુ ભારતીયોની સુરક્ષા પણ ભારત માટે એક મોટો પડકાર છે. જો સંકટ વધશે તો ભારત સરકાર તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરી શકે છે.

બીજી તરફ, આ યુદ્ધ પાકિસ્તાન માટે અમેરિકા પાસેથી આર્થિક મદદ મેળવવાની તક બની શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ પાકિસ્તાનના વખાણ કર્યા હોવાથી એવી શક્યતા છે કે અમેરિકા ઈરાન પર પકડ મજબૂત કરવા પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરે અને બદલામાં તેને મોટી નાણાકીય સહાય પૂરી પાડે. આમ, મધ્ય એશિયાનું આ યુદ્ધ માત્ર ભૌગોલિક સીમાઓ પૂરતું મર્યાદિત ન રહેતા ભારતની સુરક્ષા, વ્યાપાર અને વ્યૂહાત્મક હિતો પર પણ મોટી અસર કરી શકે છે.