અમદાવાદઃ ગુજરાતની બે ઘટનાએ ફરી સાબિત કર્યું હતું કે મોત ક્યારે કઈ રીતે આવે તે વિચારી શકાતું નથી. અહીં વાંદરાઓએ એક નિર્માણાધિન ઈમારતનો સ્લેબ પાડી નાખતા કમ્પાઉન્ડમાં રમતી બાળકીનું મોત થયું હતું જ્યારે વડોદરા ટ્રેનમાં જઈ રહેલા એક ડોક્ટર નદીમાં ખાબકી પડતા તેમનું મોત થયું હતું.
વડોદરાના બરાનપુરામાં એક નિર્માણાધિન ઈમારતની છત પર વાંદરાઓ રમતા હતા. અહીં એક સ્લેબ તેમનાથી ઉખેડી નાખવામા આવ્યો અને તે અહીં કમ્પાઉન્ડમાં રમતી ત્રણ વર્ષની બાળકી ધ્રુવી રાઠવા પર પડ્યો અને બાળકીને ગંભીર ઈજા થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે ખસડેવામાં આવી હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
સોમવારે વડોદરાથી આણંદ જતી વખતે નંદેસરી પોલીસ હદમાં ફાજલપુર નજીક આયુર્વેદના ચિકિત્સક ડૉ. જૈનેશ પટેલ ચાલતી ટ્રેનમાંથી પડીને મહી નદીમાં ડૂબી ગયા હતા. ૪૧ વર્ષીય બીએએમએસ ડિગ્રી ધારક ડૉ. જૈનેશ પટેલ પરિણીત હતા અને આણંદમાં રહેતા હતા. નંદેસરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ આત્મહત્યા કે અકસ્માત છે તે અંગે તપાસ કરવામાં આવશે.