Wed Jun 10 2026

Logo

હે! જુડવા ભાઈઓએ અલગ-અલગ જ્ઞાતિ બતાવી મેળવી સરકારી નોકરી; બોગસ સર્ટિફિકેટ પર ચૂંટણી પણ લડી!

2026-06-09 23:03:03
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: સરકારી સેવાઓ માટે અનામતનો લાભ લેવા માટે જાતિનું પ્રમાણપત્ર ખૂબ જરૂરી છે. જો કે આ માટે પણ ઘણા લોકોને સંઘર્ષ કરવો પડે છે, જેમ કે ગીર, બરડા અને આલેચના રબારી, ભરવાડ અને ચારણોને અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રની માન્યતા માટે અનેક મુશ્કેલી છે. ત્યારે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જેમાં બંને સગા ભાઈઓ પાસેથી અનુસૂચિત જનજાતિ (ST) અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) બંને પ્રમાણપત્રનો ઉપયોગ કરીને સરકારી નોકરી મેળવી લીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.  

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ આ મુદ્દે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા, તેમણે જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં એક જ પિતાના બે પુત્રોમાંથી એક  એક OBC અને બીજો ST હોવાનું ખૂલ્યું છે. તેમણે જણાવ્યું હતું કે વાંકાનેર તાલુકાના રહેવાસી  હરેશ રેવાભાઈ સરસૈયા અને તેના નાના ભાઈ નવઘણ રેવાભાઈ સરસૈયા એ બંને જુડવા ભાઈ હોવા છતાં બંને પાસે અલગ અલગ જાતિનું પ્રમાણપત્ર મળી આવ્યું હતું. તે પૈકી હરેશ રેવાભાઈ સરસૈયા SEBC (OBC) કેટેગરીનો લાભ લઈને 2015-16માં આવેલી રેવન્યુ તલાટીની ભરતીમાં નોકરી મેળવી હતી તેમજ નવઘણ રેવાભાઈ સરસૈયા તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની ભરતીમાં ST એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર તરીકે નોકરી મેળવી હોવાનો આક્ષેપ કર્યો હતો. 

ઉપરાંત તેમણે વધુ એક ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે સરકારી નોકરી તો ઠીક, પરંતુ આ નવઘણ રેવાભાઈ સરસૈયાએ  ખોટા ST પ્રમાણપત્રના આધારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેણે 2021માં વાંકાનેરના અર્ણીટીંબા ST ની અનામત સીટ ઉપરથી ચૂંટણી પણ લડ્યા હતા. જો કે ચૂંટણી સમયે તેમણે રજૂ કરેલા દસ્તાવેજો સ્પષ્ટ કરે છે કે નવઘણ રેવાભાઈ સરસૈયા ફેબ્રુઆરી ૨૦૨૧માં વાંકાનેર તાલુકા પંચાયતની ૧-અરણીટીંબા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, જે બેઠક અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત હતી. આમ તેમણે આ ખોટા પ્રમાણપત્ર પર ચૂંટણી પણ લડીને ગંભીર કાયદાનો ભંગ કર્યો હોવાનું પણ સામે આવ્યું હોવાનું તેમણે આક્ષેપ કર્યો હતો. 

આ સિવાય આક્ષેપ કરતાં યુવરાજસિંહે જણાવ્યું હતું કે આ પરિવારે મનરેગા (MGNREGA) યોજનાના લાભો મેળવવા માટે પણ મોટું તરકટ રચ્યું હતું. વસુંધરા ગ્રામ પંચાયતમાં વ્યક્તિગત જમીન પર કામોની સબસીડી મેળવવા કરાયેલી અરજીઓમાં પણ મોટો વિરોધાભાસ જોવા મળ્યો હોવાનું યુવરાજસિહે જણાવ્યું હતું. આ ફોર્મ્સમાં નવઘણભાઈએ પોતાની જ્ઞાતિ ST દર્શાવી છે, જ્યારે તેમના જ સગા ભાઈઓએ પોતાની જ્ઞાતિ OBC/SEBC દર્શાવી છે. એક જ ઘરમાં અલગ-અલગ જ્ઞાતિના દાવા કરીને ગરીબી રેખા નીચે જીવતા લોકોના હક મારવાનો અને સરકારી તિજોરીને લૂંટવાનો આ ખુલ્લો ખેલ વહીવટી તંત્રની 'આંખ આડા કાન' કરવાની નીતિનો આક્ષેપ કર્યો હતો. હવે આ સમગ્ર મામલે કડક ઉચ્ચસ્તરીય તપાસ થાય તેવી લોકમાંગ પ્રબળ બની છે.