Tue Jul 14 2026

Logo

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું 80 ટકા કામ પૂર્ણ: સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં શરૂ થવાની શક્યતા

2026-07-14 21:36:43
Author: Mumbai Samachar Team
Article Image

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ પ્રોજેક્ટની સમીક્ષા કરી, રનવે અને ATC ટાવરનું કામ 100 ટકા પૂરું

ગાંધીનગરઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજારાપુએ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટના બાંધકામની વ્યાપક સમીક્ષા કરી હતી. એરપોર્ટનું 80 ટકા અને ટર્મિનલનું 75% કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે ATC ટાવર અને રનવેનું કામ 100 ટકા પૂરું થયું છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં એરપોર્ટ શરૂ કરવાનો લક્ષ્યાંક છે. આ ઉપરાંત તેમણે અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ અંતિમ તબક્કામાં હોવાનું જણાવ્યું હતું.

આજે કેન્દ્રીય મંત્રી સાથે મંત્રાલયના સચિવ  સમીર કુમાર સિન્હા, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના ચેરમેન  વિપિન કુમાર અને ગુજરાત સરકાર તેમજ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કન્સોર્ટિયમના મુખ્ય પ્રતિનિધિઓ સાથે મંત્રીએ પ્રોજેક્ટના સીમાચિહ્નોનું મૂલ્યાંકન કર્યું હતું અને તેને પૂર્ણ કરવા માટેના વ્યૂહાત્મક રોડમેપને આખરી ઓપ આપ્યો હતો.

આ પ્રોજેક્ટના રાષ્ટ્રીય મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ માત્ર અમદાવાદ કે ગુજરાત માટે પ્રાદેશિક સંપત્તિ નથી, પરંતુ સમગ્ર દેશ માટે અત્યંત વ્યૂહાત્મક મહત્વ ધરાવતો એક સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ છે. તેમણે નોંધ્યું હતું કે ભારતમાં આ પ્રકારનો આ પહેલો એરપોર્ટ પ્રોજેક્ટ છે જે મેન્યુફેક્ચરિંગ હબ, ફ્યુચરિસ્ટિક ગ્રીન સિટી અને સેમિકન્ડક્ટર ક્લસ્ટરની સાથે એકીકૃત રીતે સંકલિત કરવામાં આવી રહ્યો છે.

એકંદરે બાંધકામ કામગીરીના આશરે 80 ટકા કામ પૂર્ણ

તેમણે કહ્યું હતું કે અમારો પ્રાથમિક ઉદ્દેશ્ય આ પ્રોજેક્ટને શક્ય તેટલી ઝડપથી પૂર્ણ કરવાનો અને તેના ઉદ્ઘાટનને ઝડપી બનાવવાનો છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર બંનેનો અભૂતપૂર્વ સ્તરનો સહયોગ અને સક્રિય ભાગીદારી આ પ્રોજેક્ટને ભારતના ઉડ્ડયન લેન્ડસ્કેપમાં સાચે જ એક અનોખો અને વિશિષ્ટ પ્રોજેક્ટ બનાવી રહી છે."
સ્થળ પર ભૌતિક પ્રગતિની સમીક્ષા કરતા મંત્રીએ જણાવ્યું હતું કે શરૂઆતના પડકારો છતાં, વ્યવસ્થિત આયોજન અને મજબૂત અમલીકરણ દ્વારા તેના માર્ગમાં આવતા અવરોધોને સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે એકંદરે બાંધકામ કામગીરીના આશરે 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. ખાસ કરીને, અત્યાધુનિક ટર્મિનલ બિલ્ડિંગનું 75% કામ પૂરું થઈ ગયું છે, જ્યારે આનુષંગિક માળખાં, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ટાવર, પ્રાથમિક રનવે અને ટેક્સીવેનું 100 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

25,000 ચોરસ મીટરમાં ફેલાયેલું પેસેન્જર ટર્મિનલ બનાવાશે

ધોલેરામાં ઊભરી રહેલી વિશાળ ઔદ્યોગિક ઇકોસિસ્ટમને પહોંચી વળવા માટે મંત્રીએ હાઇલાઇટ કર્યું કે એક સમર્પિત 2,500-સ્ક્વેર મીટરનું કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવી રહ્યું છે. વધુમાં, સીમલેસ પેસેન્જર ટ્રાફિક સુનિશ્ચિત કરવા માટે વાર્ષિક 20 લાખ મુસાફરોની હેન્ડલિંગ ક્ષમતા ધરાવતું 25,000 ચોરસ મીટરમાં ફેલાયેલું પેસેન્જર ટર્મિનલ બનાવવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય મંત્રીએ ધોલેરા પાછળના વિઝનરી બ્લુપ્રિન્ટની વિગતવાર માહિતી આપી હતી, જેનો પ્રારંભિક ખ્યાલ પીએમ નરેન્દ્ર મોદીને આભારી છે, જેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન એક ફ્યુચરિસ્ટિક સિટી, મેન્યુફેક્ચરિંગ હબ અને વર્લ્ડ ક્લાસ એરપોર્ટની કલ્પના કરી હતી. આ વિઝનને સાકાર કરવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ગુજરાત સરકાર અને NICDIT (DPIIT હેઠળ) વચ્ચે સંયુક્ત સાહસ (JV)ની રચના કરવામાં આવી હતી.

રેલ કોરિડોર પ્રોજેક્ટ માટે ₹ 20,667 કરોડ મંજૂર

રામમોહન નાયડુ કિંજારાપુએ વધુમાં જણાવ્યું હતું કે "ધોલેરાને મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીના મોડેલ તરીકે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. વર્લ્ડ ક્લાસ એર કનેક્ટિવિટીની સાથે, એરપોર્ટ પ્રીમિયમ સિક્સ-લેન નેશનલ હાઇવે અને હાઇ-સ્પીડ રેલ કોરિડોર સાથે જોડાયેલું છે. વાસ્તવમાં, કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં રેલ કોરિડોર પ્રોજેક્ટ માટે ₹ 20,667 કરોડ મંજૂર કર્યા છે, અને અમે સુનિશ્ચિત કર્યું છે કે તેનો એન્ટ્રી પોઇન્ટ અને સ્ટેશન સીધા જ એરપોર્ટ ટર્મિનલની બાજુમાં રાખવામાં આવે. અમદાવાદથી મુસાફરી કરતો મુસાફર હાઇ-સ્પીડ ટ્રેનમાંથી સીધો જ ટર્મિનલ પર ઉતરી શકશે.

વ્યાપક વ્યૂહાત્મક વિઝનને સંબોધતા તેમણે કહ્યું હતું કે કે એરપોર્ટ્સે સામાન્ય નાગરિક ઉડ્ડયન કામગીરીથી આગળ વધીને આર્થિક પ્રવૃત્તિના એન્જિન બનવું જોઈએ. માનસિકતામાં આ ફેરફાર ધોલેરાની 'એરોટ્રોપોલિસ' તરીકેની ડિઝાઇનમાં પ્રતિબિંબિત થાય છે.

કંપનીઓ ભવિષ્યની ટેક્નોલોજીમાં રોકાણ કરવા ઈચ્છુક

જ્યારે પણ વૈશ્વિક અથવા સ્થાનિક કંપનીઓ ભવિષ્યની ટેકનોલોજીમાં રોકાણ કરવા ઈચ્છે છે પછી તે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હોય કે ગ્રીન એનર્જી હોય, તેમની પ્રાથમિક માંગ એરપોર્ટની નિકટતા હોય છે. ધોલેરા આ જ ચોક્કસ સ્પર્ધાત્મક લાભ પ્રદાન કરે છે. ખાસ કરીને ટાટાની આગામી સેમિકન્ડક્ટર ફેસિલિટી અને એરબસની સંરક્ષણ ભાગીદારીને સાઇટ પરના અમારા વિશિષ્ટ મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ (MRO) હેંગર્સથી સીધો ફાયદો થશે. આ હેંગર્સ ભારતના પ્રથમ સ્વદેશી લશ્કરી પરિવહન વિમાન, C-295ની MRO કામગીરીને ટેકો આપશે.

ફાઇનલ એસેમ્બલી લાઇનના લોકેશન તરીકે ધોલેરાની પસંદગી

નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટા સીમાચિહ્નરૂપ તરીકે, અમે બ્રાઝિલની એરોસ્પેસ ક્ષેત્રની અગ્રણી કંપની એમ્બ્રેર (Embraer) અને અદાણી એવિએશન સિસ્ટમ્સ વચ્ચેના એમઓયુ (MOU)ને આખરી ઓપ આપ્યો છે. ભારતના પ્રથમ સિવિલિયન 'મેક ઇન ઇન્ડિયા' એરક્રાફ્ટ માટે ફાઇનલ એસેમ્બલી લાઇનના લોકેશન તરીકે ધોલેરાની પસંદગી કરવામાં આવી છે, જેમાં પ્રથમ પ્લેનને 2028 સુધીમાં રોલ આઉટ કરવાનો લક્ષ્યાંક છે. આ બાબત ધોલેરાને સેમિકન્ડક્ટર્સ, ઇલેક્ટ્રોનિક્સ અને એરોસ્પેસમાં ભવિષ્યના રોકાણો માટેનું અંતિમ ગંતવ્ય સ્થાન બનાવે છે."

લાઈસન્સિંગ સુરક્ષિત બનાવવા ડીજીસીએ સાથે મળીને કામ કરશે

મંત્રીએ કોન્ટ્રાક્ટરો અને સત્તાવાળાઓને સપ્ટેમ્બર સુધીમાં સાઇટ પરની કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવાનો નિર્દેશ આપીને કડક સમયરેખા સાથે પ્રેસ બ્રીફિંગ સમાપ્ત કર્યું હતું. સમાંતર રીતે મંત્રાલય આગામી ત્રણ મહિનામાં જરૂરી એરપોર્ટ લાઇસન્સિંગ સુરક્ષિત કરવા માટે DGCA સાથે મળીને નજીકથી કામ કરશે, જેનો ઉદ્દેશ્ય સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર સુધીમાં ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને કાર્યરત કરવાનો છે.

અમદાવાદ પ્લેન ક્રેશ અંગે સંપૂર્ણ સત્ય બહાર આવે તે વધુ મહત્વનું છે  

એર ઇન્ડિયાની ફ્લાઇટ સાથે સંકળાયેલા અમદાવાદ પ્લેન ક્રેશ અંગે મંત્રીએ જણાવ્યું હતું કે હાલમાં તપાસ અંતિમ તબક્કામાં છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે AAIB (એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો), જે આ તપાસ સંભાળતી સંસ્થા છે, તે સંપૂર્ણ સક્ષમ છે અને સંપૂર્ણ પારદર્શક રીતે તપાસ ચલાવી રહી છે. 
તેમણે હાઇલાઇટ કર્યું કે આ અહેવાલ બને તેટલી ઝડપથી બહાર લાવવો મહત્વપૂર્ણ છે, પરંતુ અકસ્માત કેવી રીતે અને શા માટે થયો તે અંગેનું સંપૂર્ણ સત્ય બહાર આવે તે વધુ મહત્વનું છે. તપાસનો અંતિમ અહેવાલ ખૂબ જ ટૂંક સમયમાં બહાર આવશે એવું તેમણે જણાવ્યું હતું.