દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
અક્ષરે સમયસૂચકતાથી અપાવ્યો અદ્ભુત કૅચ, વિલ જૅક્સે વિકેટ ગુમાવી
ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર વિલ જૅક્સે (35 રન, 20 બૉલ, બે સિક્સર, ચાર ફોર) જૅકબ બેથેલ સાથે પાંચમી વિકેટ માટે 77 રનની ભાગીદારી કર્યા બાદ વિકેટ ગુમાવી હતી. મૅચ વિનિંગ બની શકે એવી આ વિકેટમાં અર્શદીપના ત્રણ વાઇડ પછીના બૉલમાં જૅક્સના ઊંચા શૉટમાં અક્ષર પટેલે બૉલ ઝીલ્યા બાદ સમયસૂચકતા વાપરીને બાઉન્ડરી લાઇનની બહાર જતાં બૉલ શિવમ દુબે તરફ ફેંક્યો હતો અને દુબેએ કૅચ ઝીલી લીધો હતો. પાંચમી વિકેટ વખતે કુલ સ્કોર 172 રન હતો.

જૂનાગઢના ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાતા વેપારીને લારીમાં લઈ જવાયા, પણ બચી ન શક્યા
અમદાવાદઃ ટ્રાફિકની સમસ્યા માત્ર મોટા શહેરોમાં નહીં, પરંતુ જૂનાગઢ જેવા નાના શહેરમાં પણ વકરી રહી છે. આનું તાજું ઉદાહરણ એક ઘટના છે, જેમાં હૃદયરોગના હુમલાના દરદીને ટ્રાફિક નડતા એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચી અને દરદીનો જીવ ગયો હતો.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જૂનાગઢના માંગનાથ રોડ પર વેપાર કરતા રાજેશભાઈ કાનાણીને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. તેમને 108 એમ્બ્યુલન્સ બોલાવી હૉસ્પિટલે લઈ જવામા આવતા હતા, પરંતુ અમ્બ્યુલન્સ ટ્રાફિકમાંથી બહાર નીકળી શકતી ન હતી. વાહનોની કતારો જોઈ રાજેશભાઈને એક રેકડીમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ઘરના મોભીનું આ રીતે અચાનક મોત પરિવાર માટે મોટો ઘા હતો. જ્યારે વેપારીઆલમમાં દુઃખ સાથે રોષની લાગણી પણ જોવા મળી હતી. એમ્બ્યુલન્સને પણ નીકળવાનો માર્ગ ન મળ્યો તે મામલે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને ટ્રાફિક મેનેજમેન્ટ સામે સવાલો ઊભા કર્યા હતા.
ત્રણ વિકેટમાં ગુજરાત-ટચઃ બ્રૂક બન્યો બુમરાહનો 500મો શિકાર
વાનખેડે સ્ટેડિયમમાં ભારતે આપેલા 254 રનના તોતિંગ લક્ષ્યાંકના બોજ તળે શરૂઆતથી જ આવી ગયેલી ઇંગ્લૅન્ડની ટીમે બીજી ઓવરથી જ વિકેટ ગુમાવવાની શરૂ કરી હતી અને 38 રનમાં પહેલી જે બે વિકેટ ગુમાવી એમાં અને પછીથી એક વિકેટમાં ગુજરાત-ટચ હતો. ફિલ સૉલ્ટનો કૅચ હાર્દિક પંડ્યાના બૉલમાં અક્ષર પટેલે ઝીલ્યો હતો અને ત્યાર બાદ કૅપ્ટન હૅરી બ્રૂકની વિકેટ અમદાવાદ નિવાસી બુમરાહે લીધી હતી. તેના બૉલમાં પણ અક્ષરે કૅચ ઝીલ્યો હતો. ત્યાર બાદ બટલરને વરુણે આઉટ કર્યો હતો, પરંતુ બેથેલની આક્રમક ફટકાબાજી વચ્ચે ટૉમ બૅન્ટને વિકેટ ગુમાવી હતી એ અક્ષરે લીધી હતી. બેથેલ પાંચ સિક્સર અને એક ફોરની મદદથી બનાવેલા 39 રને રમી રહ્યો હતો અને ત્યારે આઠમી ઓવરમાં ઇંગ્લૅન્ડનો સ્કોર 4/95 હતો. દરમ્યાન બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500મી વિકેટ લીધી હતી અને બ્રૂક તેનો 500મો બહુમૂલ્ય શિકાર બન્યો હતો.
અભિષેક સિક્સર મારવા જતાં કૅચ આપી બેઠો, સૅમસનનો કૅચ છૂટ્યો
વાનખેડેમાં આજે સેમિ ફાઇનલમાં ઢગલો રન થઈ શકશે એવી સંભાવના વચ્ચે આ ટૂર્નામેન્ટનો ફ્લૉપ ઓપનર અભિષેક શર્મા (નવ રન, છ બૉલ, બે ફોર) ઉતાવળે સિક્સર મારવા જતાં ફિલ સૉલ્ટને કૅચ આપી બેઠો હતો. ઑફ સ્પિનર વિલ જૅક્સને બીજી જ ઓવર અપાઈ હતી જેમાં તેણે અભિષેકની આસાની વિકેટ મેળવી લીધી હતી. તેની વિકેટ પડ્યા બાદ થોડી જ વારમાં જોફ્રા આર્ચરના બૉલમાં સૅમસન 15 રન પર હતો ત્યારે તેને કૅપ્ટન હૅરી બ્રૂકના હાથે જીવતદાન મળ્યું હતું. બ્રૂકે આસાન કૅચ છોડ્યા પછી અફસોસ વ્યક્ત કરર્યો હતો અને ત્યાર બાદ સૅમસને ઇશાન કિશન સાથેની જોડીમાં જોરદાર ફટકાબાજી શરૂ કરી દીધી હતી. પાંચ ઓવરને અંતે ભારતનો સ્કોર 1/55 હતો. સૅમસન (31 નૉટઆઉટ, 15 બૉલ, બે સિક્સર, ચાર ફોર) અને ઇશાન (15 નૉટઆઉટ, આઠ બૉલ, ત્રણ ફોર) દાવમાં હતા.

ઇંગ્લૅન્ડ ટૉસ જીત્યું, ભારતને પહેલાં બૅટિંગનો મોકો મળ્યો
વાનખેડે સ્ટેડિયમમાં ટી-20 વર્લ્ડ કપની હાઇ-પ્રોફાઇલ સેમિ ફાઇનલમાં ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી બ્રૂકે ટૉસ જીતીને ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. જોકે ભારતને પહેલા બૅટિંગ કરીને બ્રિટિશરોને તોતિંગ લક્ષ્યાંક આપવાનો મોકો મળ્યો છે. ભારતે ઇલેવનમાં કોઈ ફેરફાર નથી કર્યો. ઇંગ્લૅન્ડે રેહાન અહમદના સ્થાને ઑવર્ટનને ઇલેવનમાં સમાવ્યો છે.
ફારસની ખાડીમાં અમેરિકાના જહાજ પર ઈરાનનો હુમલો
ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકા સતત છઠ્ઠા દિવસે પણ હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે, ત્યારે ઈરાનના યુદ્ધજહાજને અમેરિકાએ ડૂબાડ્યા પછી ગુસ્સે થયેલા ઈરાનના ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈજીઆરસી)એ દાવો કર્યો છે કે તેના નૌકાદળે ઉત્તર ફારસની ખાડીમાં અમેરિકન ઓઈલના જહાજ પર મિસાઈલથી હુમલો કર્યા બાદ આગ ફાટી નીકળી.
યુદ્ધ મુદ્દે મોદીનું મહત્ત્વનું નિવેદન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત મિડલ ઈસ્ટમાં જારી યુદ્ધ વચ્ચે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. પાટનગર નવી દિલ્હીમાં ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેકઝાન્ડર સ્ટબ સાથે વાત કરતા કહ્યું કે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લશ્કરી સંઘર્ષથી લાવી શકાય નહીં એવું અમે દૃઢપણે માનીએ છીએ.
નીતીશ કુમારે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી
10 વાર બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેનાર નીતીશ કુમારે ગુરુવારે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિત NDA ના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ગયા વર્ષે વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ 27 ફેબ્રુઆરીએ નીતીશ કુમારે 10મી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેમના રાજ્યસભામાં જવાના નિર્ણયે સૌને ચોંકાવી દીધા છે.
ઈઝરાયલે ઈરાનનું બેલિસ્ટિક મિસાઈલ લોન્ચર તબાહ કર્યું
ઈઝરાયલી સેનાએ ઈરાનના કોમ શહેરમાં એક બેલિસ્ટિક મિસાઈલ લોન્ચર પર હુમલો કરીને તેને નષ્ટ કરી દીધું હોવાનો દાવો કર્યો હતો. આ લોન્ચર ઈઝરાયલ પર હુમલો કરવાની તૈયારીમાં હતું. ઈઝરાયલી સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, ઈઝરાયલની વાયુસેનાએ ઈસ્ફહાન શહેરમાં એક એર ડિફેન્સ સિસ્ટમને પણ ખતમ કરી દીધી છે.
ઈરાન વિરુદ્ધ સેના મોકલવા બાબતે કેનેડાએ શું કહ્યું?
કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ જણાવ્યું છે કે, કેનેડા ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં પોતાની સેના મોકલશે કે નહીં તે કહેવું હાલ મુશ્કેલ છે. તેમણે ઉમેર્યું કે કેનેડા તેના સહયોગી દેશોની સાથે ઉભું રહેશે, પરંતુ જરૂર પડ્યે સૈન્ય મદદ આપવાની શક્યતાને પણ નકારી શકાય તેમ નથી.
કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી
કોંગ્રેસે રાજ્યસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જે મુજબ તેલંગાણામાંથી અભિષેક મનુ સિંઘવી અને વેમ નરેન્દ્ર રેડ્ડી, છત્તીસગઢમાં ફૂલો દેવી નેતામ, હરિયાણામાંથી કરમવીર સિંહ બૌદ્ધ, હિમાચલ પ્રદેશમાં અનુરાગ શર્મા અને તમિલનાડુમાં એમ. ક્રિસ્ટોફર તિલકના નામની જાહેરાત કરી હતી.

ઈરાનની રાજધાની તેહરાનમાં અનેક સ્થળોએ બ્લાસ્ટ
ઈરાનની રાજધાની તેહરાનમાં ગુરુવાર સવાર સુધી સતત કલાકોથી મોટા ધડાકા થઈ રહ્યા છે. આખી રાત શહેરના અનેક સ્થળોએ જોરદાર બ્લાસ્ટ થયા, જેના કારણે આકાશમાં ધુમાડો અને આગની જ્વાળાઓ જોવા મળી રહી છે. હુમલામાં ઈરાનના મિલિટરી હેડક્વાર્ટર, પોલીસ સ્ટેશન અને IRGCના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.