દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
પી. વી. સિંધુ ઇન્ડોનેશિયામાં બીજા રાઉન્ડમાં પહોંચી
જકાર્તામાં ભારતની ટોચની બૅડમિન્ટન ખેલાડી અને ઑલિમ્પિક્સના બે મેડલ જીતી ચૂકેલી પી. વી. સિંધુ ઇન્ડોનેશિયા ઓપનના પ્રથમ રાઉન્ડમાં થાઇલૅન્ડની બુસેનન ઑન્ગબામરુનગ્ફાન સામે 25-23, 21-16થી જીતીને બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. જોકે ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન કિદામ્બી શ્રીકાંત અને લક્ષ્ય સેન તેમની સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં જ પરાજિત થયા હતા.

51 દિવસમાં ચારધામ યાત્રામાંથી મળ્યો 288 ટન કચરો, પ્રશાસનની ચિંતામાં વધારો
ઉત્તરાખંડમાં 19 એપ્રિલથી શરૂ થયેલી ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી રહ્યા છે. જેમાં અત્યાર સુધી 28 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે. જોકે, આ બધા વચ્ચે શ્રદ્ધાળુઓ દ્વારા ફેંકવામાં આવતો કચરો વહીવટીતંત્રની ચિંતાનો વિષય બન્યો છે. જેમાં 31 મે સુધીના આંકડા મુજબ ચારધામમાંથી 288 ટનથી વધુ કચરો એકત્ર કરવામાં આવ્યો છે.
જર્મનીના એરપોર્ટ પર ભારતીયોને ટ્રાન્ઝિટ વિઝાની જરૂર નહિ રહે, દૂતાવાસે જાહેરાત કરી
જર્મન એરપોર્ટ પરથી પસાર થતા ભારતીય પ્રવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. જેમાં હવે જર્મનીના એરપોર્ટ પર ભારતીયોને ટ્રાન્ઝિટ વિઝાની જરૂર નહિ રહે. આ નિર્ણયનો આવતીકાલથી અમલ થશે. નવી દિલ્હીમાં જર્મન દૂતાવાસે જણાવ્યું હતું કે આ પગલું ભારત-જર્મનીના સંબંધોને મજબૂત બનાવવા લીધો છે.
સાઇરાજ બહુતુલે ટીમ ઇન્ડિયાનો સ્પિન બોલિંગ-કોચ
ભારત વતી બે ટેસ્ટ અને આઠ વન-ડે રમનાર ભૂતપૂર્વ લેગ-સ્પિનર સાઇરાજ બહુતુલેને બીસીસીઆઇએ ભારતીય ટીમના સ્પિન બોલિંગ-કોચ તરીકે નિયુક્ત કર્યો છે. તેણે આ પહેલાં અન્ડર-19 અને ઇન્ડિયા-એ ટીમને કોચિંગ આપ્યું હતું. 53 વર્ષના બહુતુલેએ પ્રથમ કક્ષાની ક્રિકેટમાં કુલ 630 વિકેટ લીધી હતી અને 6,176 રન બનાવ્યા હતા. અગાઉ તેણે ગુજરાત, કેરલમ, વિદર્ભ અને બંગાળની ટીમને પણ કોચિંગ આપ્યું હતું.

ભારત નેપાળ સરહદ દ્વિપક્ષીય મુદ્દો, 98 ટકા સરહદનું સીમાંકન
નેપાળના વડાપ્રધાન બાલેન શાહે ભારત નેપાળ સરહદ વિવાદ અંગે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે આ મુદ્દો બ્રિટન સમક્ષ ઉઠાવવાની વાત કરી હતી. જેની બાદ ભારતના વિદેશ મંત્રાલયે વળતો જવાબ આપ્યો છે. તેમજ કહ્યું કે દ્વિપક્ષીય મુદ્દો છે અને લગભગ 98 ટકા સરહદનું સીમાંકન કરવામાં આવ્યું છે.
તમિલનાડુના રાજકારણમાં બદલાવના સંકેતો, કે. અન્નામલાઈએ ભાજપમાંથી રાજીનામું આપ્યું
તમિલનાડુના રાજકારણમાં મોટા બદલાવના સંકેતો મળી રહ્યા છે. જેમાં રાજ્યના ભૂતપૂર્વ ભાજપ પ્રમુખ કે. અન્નામલાઈએ મંગળવારે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને રાજીનામું સુપરત કર્યું છે. જેની બાદ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
પીએમ મોદી વડાપ્રધાન રહેવાના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડશે
પીએમ મોદી એક નવો રેકોર્ડ બનાવવા જઇ રહ્યા છે. પીએમ મોદી પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ નવ જૂનના રોજ તોડશે. આ દિવસે પીએમ મોદીને તેમના ત્રીજા કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ 4397 દિવસ એટલે કે 12 વર્ષ 14 મહિના સુધી સત્તામાં રહ્યા હતા. પીએમ મોદીને 9 જૂનના રોજ વડાપ્રધાન પદ પર 4398 દિવસ થશે.

યોગેશ પટેલના નિધન પર CM ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે માંજલપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન અંગે ઘેરા શોક અને દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે X પર લખ્યું, માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરું છું. રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યોમાં તેઓ અવિરત કર્તવ્યરત રહ્યા હતા અને સામાન્યજનના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર તથા સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

સૂર્યા ચૌહાણ હત્યા કેસ બાદ પોલીસ એક્શનમાં, ખોડામાં ત્રણ મદરેસા સીલ કરવાની કવાયત
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સૂર્યા ચૌહાણ હત્યા કેસ બાદ પોલીસ અને વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. જેમા જીલ્લા મેજીસ્ટ્રેટ અને પોલીસ કમિશ્નર પોલીસ દળ સાથે ખોડા પહોંચ્યા છે. આ કેસમાં પોલીસે ત્રણ ગેરકાયદે મદરેસાની ઓળખ કરવામાં આવી છે. જેને નોટીસ આપવામાં આવી છે.જેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમેરિકામાં એકસાથે 30 ભારતીયોની ધરપકડ, ટૂંક સમયમાં થશે દેશનિકાલ
અમેરિકામાં વસતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ખાસ કરીને કોમર્શિયલ ડ્રાઈવરો સામે ટ્રમ્પ સરકારે લાલ આંખ કરી છે. યુએસ બોર્ડર પેટ્રોલ એજન્ટોએ એરિઝોનાના યુમા સેક્ટરમાં 'ઓપરેશન ચેકમેટ' હેઠળ કાર્યવાહી કરીને કુલ 52 લોકોની ધરપકડ કરી છે, જેમાં 30 ભારતીય ટ્રક ડ્રાઈવરોનો સમાવેશ થાય છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના જણાવ્યા અનુસાર, આ ધરપકડ 11 થી 15 મે દરમિયાન કરવામાં આવી હતી.
મંગળવારે માર્કેટમાં અમંગળ
સપ્તાહના બીજા સેશનમાં માર્કેટમા વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું છે. નિફ્ટી 23,300ની નીચે સરકી ગયો છે. તો સેન્સેક્સમાં 340 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ સોમવારના બંધ 74,267.34ના લેવલથી 322.14 પોઇન્ટ ઘટી 73,945.20ની સપાટીએ ખુલ્યો છે. તો નિફ્ટી સોમવારે 23,382.60ની સપાટીએ બંધ થયો હતો. મંગળવારે નિફ્ટી 153.45 પોઇન્ટ ઘટી 23,229.15ની સપાટીએ ખુલ્યો છે.
