ભુજઃ કચ્છના બંદરીય માંડવી ખાતે આયોજિત એક ધાર્મિક મહોત્સવ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા બ્રહ્મ સમાજ અંગે કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણીને પગલે ભારે હોબાળો મચી ગયો છે. સાધુના આ નિવેદનથી કાર્યક્રમમાં ઉપસ્થિત સેંકડો ભૂદેવો સહિત સમગ્ર બ્રહ્મ સમાજમાં પ્રચંડ રોષ વ્યાપી ગયો છે. બીજી તરફ, મંચ પર હાજર શાસક પક્ષના સ્થાનિક ધારાસભ્યે ત્વરિત પ્રતિક્રિયા આપી સંતને જાહેરમાં જ આકરો જવાબ આપતાં આ મામલો પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
શું છે મામલો
ઘટનાની વિગત મુજબ, માંડવીમાં તાજેતરમાં ‘શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ વ્યાસપીઠ પરથી સંબોધન કરતાં જણાવ્યું હતું કે, જો બ્રહ્મ સમાજ તમારી પાસે ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ છે.” સંતના આ મુખેથી નીકળેલા વિવાદાસ્પદ શબ્દોને કારણે મહોત્સવમાં હાજર આશરે ૧૪૦૦ જેટલા બ્રાહ્મણોની લાગણી દૂભાઈ હતી અને સભાખંડમાં નારાજગીનો ગણગણાટ શરૂ થઈ ગયો હતો.
આ જ મહોત્સવમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત માંડવી-મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવેએ મામલાની ગંભીરતાને જોઈને મંચ પરથી જ સંતના નિવેદનનો પલટવાર કર્યો હતો. તેમણે માઇક સંભાળીને સ્પષ્ટ અને મક્કમ શબ્દોમાં જણાવ્યું કે, બ્રાહ્મણ ક્યારેય કોઈની પાસે ભીખ માંગતો નથી, તે હંમેશા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દાન સ્વીકારે છે. ધારાસભ્યના આ જડબાતોડ જવાબને ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.
દરમિયાન, આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર રાજ્યના બ્રહ્મ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. વિવાદ વકરતાં વિવિધ બ્રાહ્મણ સંગઠનો દ્વારા શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામી પોતાના આ વિવાદાસ્પદ નિવેદન બદલ જાહેરમાં માફી માંગે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે હાલ સરહદી જિલ્લા કચ્છના રાજકીય અને સામાજિક આલમમાં ભારે ગરમાવો આવી ગયો છે.
(ઉત્સવ વૈદ્ય)