મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે એક મહિલા સામે તેના પતિને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ દાખલ કરાયેલા કેસને રદ કરતા કહ્યું છે કે, ફક્ત બંને વચ્ચે વૈવાહિક મતભેદ હોવાને કારણે જીવનસાથી પર તેના અન્ય સાથીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવી શકાતો નથી.
હાઈ કોર્ટની નાગપુર બેન્ચે ગયા અઠવાડિયે આપેલા પોતાના આદેશમાં જણાવ્યું હતું કે પારિવારિક જીવનમાં વૈવાહિક મતભેદ સામાન્ય છે અને આત્મહત્યા ફક્ત વૈવાહિક મતભેદ હોવાને કારણે કોઈપણ જીવનસાથીને જવાબદાર ઠેરવી શકાતી નથી. તેમાં ઉમેર્યું હતું કે, આરોપી તરફથી પીડિતાને જીવનનો અંત લાવવા માટે સીધી ઉશ્કેરણી હોવી જોઈએ.
આવા કિસ્સાઓમાં, એવું ન માની શકાય કે એક જીવનસાથી દ્વારા ઉશ્કેરણી કરવાના કારણે બીજાએ આત્મહત્યા કરી છે, એમ કોર્ટે કહ્યું હતું. બેન્ચે 49 વર્ષની વ્યવસાયે શિક્ષિકા દ્વારા દાખલ કરાયેલી અરજીને મંજૂર કરી હતી, જેમાં અમરાવતી પોલીસે 2019માં દાખલ કરેલા આત્મહત્યા માટે ઉશ્કેરણી કેસને રદ કરવાની માગણી કરવામાં આવી હતી.જસ્ટિસ ઉર્મિલા જોશી ફાળકેની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે આ કેસમાં પતિ અને પત્ની બંનેએ એકબીજા પર દુર્વ્યવહાર અને અત્યાચારના આરોપો લગાવ્યા હતા અને તેથી વધુમાં વધુ એમ કહી શકાય કે સ્ત્રી પુરુષની હતાશાનું કારણ બની શકે છે.
‘આ પ્રકારના મતભેદ અને ઝઘડા ઘરેલુ જીવનમાં સામાન્ય છે અને જ્યાં સુધી કોઈ દોષી ઇરાદો ન હોય ત્યાં સુધી, સામાન્ય રીતે એવું સાબિત કરવું શક્ય નથી કે સ્ત્રી તેના પતિના મૃત્યુ માટે જવાબદાર હતી,’ એમ હાઈકોર્ટે જણાવ્યું હતું.કોર્ટે તેના આદેશમાં નોંધ્યું હતું કે કોઈ વ્યક્તિને ઉશ્કેરણીના ગુના માટે દોષી ઠેરવવા માટે, ફરિયાદ પક્ષે સાબિત કરવું જોઈએ કે આરોપીએ આત્મહત્યામાં ભૂમિકા ભજવી હતી અથવા વ્યક્તિને પોતાનો જીવ લેવા માટે પ્રોત્સાહિત કરી હતી અથવા વ્યક્તિએ આત્મહત્યા કરી હતી તે સુનિશ્ર્ચિત કરવા માટે અન્ય લોકો સાથે કાવતરું ઘડ્યું હતું.હાઈકોર્ટે કહ્યું હતું કે, આરોપી દ્વારા પીડિતાને આત્મહત્યા કરવા માટે સીધી ઉશ્કેરણી કરવામાં આવી હોવી જોઈએ.
બેન્ચે કહ્યું કે ગુસ્સામાં કોઈપણ પતિ-પત્ની દ્વારા ઉચ્ચારવામાં આવેલા શબ્દો ઉશ્કેરણીના ગુનાને ગણવા માટે પૂરતા નથી.પુરુષ દ્વારા પાછળ છોડી દેવાયેલી સુસાઇડ નોટમાં ક્યાંય પણ એવું દર્શાવવામાં આવ્યું નથી કે તેણે મહિલા દ્વારા ઉશ્કેરણીથી આત્મહત્યા કરી હતી, એમ કોર્ટે કહ્યું હતું, હકીકતમાં તે સ્પષ્ટપણે જણાવે છે કે તેના મૃત્યુ માટે કોઈને જવાબદાર ઠેરવવામાં આવશે નહીં.દંપતીએ ડિસેમ્બર 1996 માં લગ્ન કર્યા હતા. પુરુષ અને તેના માતાપિતાએ આરોપ લગાવ્યો હતો કે મહિલા તેમની સાથે દુર્વ્યવહાર કરતી હતી અને પુરુષ પર હુમલો પણ કરતી હતી. તે આત્મહત્યા કરવાની ધમકી પણ આપતી હતી અને ખોટા કેસોમાં ફસાવતી હતી.
સાસરિયાઓએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તે બીજા પુરુષ સાથે ગેરકાયદે સંબંધમાં હતી અને ઘણા દિવસો સુધી કોઈને જાણ કર્યા વિના પતિનું ઘર છોડીને જતી રહેતી હતી.નવેમ્બર 2019માં, દબાણ હેઠળ આવેલા પુરુષે આત્મહત્યા કરી હતી, જેના પછી તેના માતાપિતાએ મહિલા વિરુદ્ધ દુષ્કર્મ માટે કેસ દાખલ કર્યો હતો.મહિલાએ દાવો કર્યો હતો કે લગ્ન દરમિયાન તેના પતિ અને તેના માતાપિતા દ્વારા તેના પર પણ શારીરિક હુમલો અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.કોર્ટે નોંધ્યું હતું કે આ કેસમાં દંપતી વચ્ચે વૈવાહિક વિખવાદ અને દુર્વ્યવહારના આરોપો હતા.