વડોદરાઃ ભરૂચમાં હિંદુ યુવતી સાથે લગ્નના નકલી સર્ટિ કાંડમાં મુસ્લિમ યુવક જેલભેગો થવાના કેસમાં યુવતીએ મોટો ધડાકો કર્યો હતો. યુવતીના જણાવ્યા મુજબ, તેણે કોઈના દબાણ કે લાલચમાં આવ્યા વિના પોતાની મરજીથી લગ્નની કાયદાકીય પ્રક્રિયા કરી હતી. તેણે જણાવ્યું કે કુબેર ભવન ખાતે મેજિસ્ટ્રેટ સમક્ષ કાર્યવાહી કરવા માટે 19 ઓગસ્ટે એક વ્યક્તિને રૂ. 2.37 લાખ આપ્યા હતા અને વકીલ મારફતે લગ્નનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. જોકે, આ સર્ટિફિકેટ અસલી છે કે નકલી તે અંગે તેને કોઈ જાણ નહોતી.
શું છે સમગ્ર મામલો
વડોદરાના ગોત્રીની એક હૉસ્પિટલમાં ફરજ બજાવતી 24 વર્ષીય હિન્દુ યુવતી મે મહિનામાં ગુમ થઈ હતી. ભરૂચના જંબુસરમાં રહેતા યુવતીના પરિવારજનોએ શોધખોળ કરતાં તે ફૈઝલ સાથે રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ યુવતીના પરિવારજનો તેને પરત લઈ આવવા સક્રિય થયા હતા અને ફૈઝલ વિરુદ્ધ તેમની પુત્રીનું કથિત રીતે અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ફૈઝલે મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જંબુસર પોલીસ સમક્ષ રજૂ કરાયેલા મેરેજ સર્ટિફિકેટમાં બંનેએ કોર્ટ મેરેજ કર્યા હોવાનો દાવો કરાયો હતો. જોકે તપાસ દરમિયાન સબ રજિસ્ટ્રરે આવી કોઈ લગ્ન નોંધણી ન થઈ હોવાનું જણાવ્યું હતું. જે બાદ ફૈઝલની કરજણના કિયા ગામેથી ધરપકડ કરવામાં આવી હતી.
ઘર છોડતી વખતે યુવતી 6 તોલાનો સોનાનો હાર પણ લેતી ગઈ
પરિવારના જણાવ્યા મુજબ, યુવતીએ 7 મેના રોજ તેમને ફોન કરીને કહ્યું હતું કે તેણે ફૈઝલ સાથે લગ્ન કરી લીધા છે અને તે ઘરે પાછી નહીં આવે. તે પોતાની સાથે છ તોલાનો સોનાનો હાર પણ લઈ ગઈ હતી. બાદમાં પરિવારે 11 મેના રોજ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
યુવતીના પિતાએ વડા પ્રધાનને પત્ર લખીને કથિત નકલી મેરેજ સર્ટિફિકેટ અને પુત્રીના ગુમ થવા પાછળના સંજોગો અંગે SIT તપાસની માંગ કરી હતી. પરિવારે તેમની દીકરીનું બ્રેઈનવોશ કરીને સંબંધના બહાને લઈ જવામાં આવી હોવાના પણ આરોપ લગાવ્યો હતો. યુવતીની માતાએ પણ પોતાની પુત્રીને પાછી લાવવાની અપીલ કરી હતી અને તેને બ્રેઈનવોશ કરવામાં આવી હોવાનો આરોપ લગાવી આ ઘટનાને લવ જેહાદનો કિસ્સો ગણાવ્યો હતો.