રોમ: અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. જેમાં ઇટલીએ ઇઝરાયલ સાથેના તેના સંરક્ષણ કરારને સ્થગિત કરી દીધો છે. જેમાં લશ્કરી સાધનો અને ટેકનોલોજી સંશોધનનું આદાન પ્રદાન સામેલ હતું. ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને રાજદ્વારી સૂત્રોએ મંગળવારે આ વાતની પુષ્ટિ કરી હતી.
સંરક્ષણ કરારને સ્થગિત કરવાનો નિર્ણય લીધો
ઇટલીના મીડિયા અહેવાલ મુજબ વેરોનામાં એક કાર્યક્રમમાં બોલતા જ્યોર્જિયા મેલોનીએ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ઇઝરાયલ સાથેના સંરક્ષણ કરારને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે ઇટલીના એક રાજકારણીએ જણાવ્યું હતું કે આ તકે આ કરારને રિન્યૂ કરવો અસંભવ હતો.
દર પાંચ વર્ષે સમીક્ષા કરવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે, આ કરાર વર્ષ 2006માં ઇઝરાયલ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. જેમાં દર પાંચ વર્ષે સમીક્ષા કરવામાં આવે છે. જેમાં સંરક્ષણ ઉદ્યોગો, લશ્કરી કર્મચારીઓનું શિક્ષણ અને તાલીમ, સંશોધન અને વિકાસ અને માહિતી ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગની જોગવાઈ કરે છે.
ઇટલીએ ઇઝરાયલી રાજદૂતને બોલાવ્યા હતા
આ ઉપરાંત ગત અઠવાડિયે જ્યારે ઇટલીની સરકારે ઇઝરાયલી સૈન્ય પર લેબનોનમાં ઇટાલિયન યુએન શાંતિ રક્ષકોના કાફલા પર ચેતવણી ગોળીબાર કરવાનો આરોપ લગાવ્યો ત્યારે બંને રાષ્ટ્રો વચ્ચે તણાવ વધી ગયો. આ ઘટનામાં એક વાહન નુકસાન થયું હતું, જોકે કોઈ ઈજા થઈ ન હતી. જેના વિરોધમાં ઇટલીએ ઇઝરાયલી રાજદૂતને બોલાવ્યા હતા.
ઇટલીએ હુમલાઓની નિંદા કરી હતી
આ દરમિયાન, સોમવારે, ઇઝરાયલે ઇટાલિયન વિદેશ પ્રધાન એન્ટોનિયો તાજાનીના નિવેદન બાદ ઇઝરાયલના રાજદૂતને બોલાવ્યા હતા. તાજાનીએ લેબનીઝ નાગરિકો પર ઇઝરાયલી સૈન્ય દ્વારા કરવામાં આવેલા હુમલાઓની નિંદા કરી હતી. નાયબ વડાપ્રધાન તાજાની સોમવારે લેબનીઝ રાષ્ટ્રપતિ જોસેફ ઓન અને વિદેશ પ્રધાન યુસુફ રાગી સાથે વાતચીત માટે બેરૂતમાં હતા. તેમણે પાછળથી એક્સ પર લખ્યું કે તેઓ નાગરિક વસ્તી સામે ઇઝરાયલના અસ્વીકાર્ય હુમલાઓ બાદ ઇટલીની એકતા વ્યક્ત કરવા ત્યાં હતા.