અમદાવાદઃ આમ તો શહેરોમાં વિકાસના નામે પર્યાવરણનું જતન માત્ર કાગળ પર જ રહે છે, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના પર્યાવરણના જતન માટે અલગ અલગ પ્રયોગો હાથ ધર્યા છે. જેમાંથી એક ગ્રીન બસ સ્ટોપનો પણ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (મનપા) એ સાબરમતી વિસ્તારમાં રાજુલપાર્ક સોસાયટી નજીક અચ્છેર સ્ટેશન પર પાયલોટ પ્રોજેક્ટ તરીકે શહેરનું પ્રથમ ગ્રીન બસ શેલ્ટર ઊભું કર્યું છે. મોટા વૃક્ષને કાપવાને બદલે, તેની આસપાસ બસસ્ટોપ ડિઝાઇન કરવામાં આવ્યું છે. વૃક્ષના છાયડાંમાં સ્વચ્છ બેસવાની જગ્યા બનાવવામાં આવી છે.
આ બસસ્ટોપ પર મનપા દ્વારા વાવેલા ખાસ પસંદ કરવામાં આવેલા વર્નોનિયા એલિપ્ટિકા ક્લાઇમ્બર છોડ છે, જે આગામી મહિનાઓમાં છત પર કુદરતી રીતે ફેલાશે અને ત્યારબાદ છત પણ હરિયાળી અને ઠંડક આપનારી બની જશે, તેમ મનપાના સૂત્રોએ જણાવ્યું હતું.
મનપા લોકોને શહેરોમાં એક પ્રાકૃતિક વાતાવરણ પૂરું પાડવા માગે છે. વૃક્ષો તોડવા કરતા આ રીતે વૃક્ષોનો ઉપયોગ કરવાનો પ્રયોગો બને તેટલા વધુ થાય તે જરૂરી છે.