Thu Jun 18 2026

Logo

રેલવેના સારા સમાચાર: જૂનાગઢ-દેલવાડા ટ્રેન ફરી દોડશે, જાણો નવું ટાઈમ ટેબલ અને રૂટ...

2026-03-24 12:37:54
Author: Devayat Khatana
Article Image

જૂનાગઢ: પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા જૂનાગઢ-દેલવાડા મીટરગેજ ટ્રેનને ફરીથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આગામી  25 માર્ચથી તથા જૂનાગઢ-ચલાલા મીટરગેજ ટ્રેનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. મુસાફરોની માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા જૂનાગઢ-દેલવાડા મીટરગેજ પેસેન્જર ટ્રેનને ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

મળેલ માહિતી મુજબ, ટ્રેન નંબર 52951/52952 દેલવાડા-જુનાગઢ-દેલવાડા દૈનિક મીટરગેજ પેસેન્જર ટ્રેનનું સંચાલન તારીખ 25 માર્ચ 2026થી ફરી શરૂ કરવામાં આવશે.  ટ્રેન નંબર 52952 જૂનાગઢ-દેલવાડા દૈનિક મીટરગેજ પેસેન્જર ટ્રેન તારીખ 25.03.2026થી શરૂ થશે. આ ટ્રેન જૂનાગઢથી સવારે 08:00 વાગ્યે પ્રસ્થાન કરીને બપોરે 14:40 વાગ્યે દેલવાડા પહોંચશે.

ટ્રેન નંબર 52951 દેલવાડા-જૂનાગઢ દૈનિક મીટરગેજ પેસેન્જર ટ્રેન તારીખ 26.03.2026થી શરૂ થશે. આ ટ્રેન દેલવાડાથી સવારે 11:00 વાગ્યે પ્રસ્થાન કરીને સાંજે 17:25 વાગ્યે જૂનાગઢ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં ઊના, ગીરગઢડા, હડમડિયા, જામવાલા, વલાદર, પ્રાચી, ગીર હડમતિયા, જામ્બુર, તાલાળા, ચિત્રાવડ, સાસણ ગીર, કાસિયાનેશ, સતાધાર, વિસાવદર, જૂની ચાવંડ, બિલખા અને તોરણિયા સ્ટેશનો પર સ્ટોપ કરશે. 

તે ઉપરાંત, ટ્રેન નંબર 09595/09596 જૂનાગઢ-ચાલાલા-જૂનાગઢ દૈનિક મીટરગેજ પેસેન્જર સ્પેશિયલના સમયમાં તારીખ 25 માર્ચ 2026થી આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09595 જૂનાગઢ-ચાલાલા દૈનિક મીટરગેજ પેસેન્જર ટ્રેન હવે સવારે 10:40 વાગ્યાની જગ્યાએ 11:30 વાગ્યે પ્રસ્થાન કરશે અને 14:10 વાગ્યાની જગ્યાએ 14:50 વાગ્યે ચાલાલા પહોંચશે. ટ્રેન નંબર 09596 (ચાલાલા-જૂનાગઢ દૈનિક મીટરગેજ પેસેન્જર ટ્રેન હવે 14:40 વાગ્યાની જગ્યાએ 15:20 વાગ્યે પ્રસ્થાન કરશે અને 17:35 વાગ્યાની જગ્યાએ 18:45 વાગ્યે જૂનાગઢ પહોંચશે. આ સાથે, ટ્રેન નંબર 52933/52956 જૂનાગઢ-વેરાવળ-જૂનાગઢ દૈનિક પેસેન્જર ટ્રેનને તારીખ 25 માર્ચ 2026થી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.