નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત શાંતિ સમજૂતીને લઈને ચાલી રહેલી વાતચીત દરમિયાન પરમાણુ દેખરેખનો મુદ્દો ફરી એકવાર વિવાદનું કેન્દ્ર બન્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે કોઈપણ સમજૂતી અંતર્ગત આંતરરાષ્ટ્રીય પરમાણુ નિરીક્ષકોને ઈરાન જવાની મંજૂરી આપવામાં આવશે, જ્યારે ઈરાન તરફથી આવી કોઈ શરતનો સ્વીકાર કરવાનો ઈનકાર કરવામાં આવી રહ્યો છે. બંને દેશો વચ્ચેની આ ખેંચતાણ શાંતિ વાટાઘાટોનો પ્રથમ તબક્કો પૂરો થયા પછી સામે આવી રહી છે.
મંગળવારે પેન્સિલવેનિયામાં પત્રકારોના સવાલનો જવાબ આપતા, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના અધિકારીઓના એ દાવાઓને ફગાવી દીધા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે તેહરાને (ઈરાને) કોઈ વ્યાપક પરમાણુ નિરીક્ષણ વ્યવસ્થાને મંજૂરી આપી નથી. ટ્રમ્પે કહ્યું કે ઈરાનના અધિકારીઓ આ મુદ્દે ખોટી માહિતી આપી રહ્યા છે અને તેઓ વાતચીતમાં નક્કી કરવામાં આવી રહેલી શરતોથી વાકેફ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે નિરીક્ષણની વાત 100 ટકા નક્કી છે. તેમણે આગળ ઉમેર્યું, 'તેઓ ખોટા છે. તેઓ જાણે છે કે તેઓ ખોટા છે અને જો તેઓ સાચા હોત, તો મેં અત્યારે જ બેઠકો રદ કરી દીધી હોત.'
IAEAને મળશે તપાસની મંજૂરી: ટ્રમ્પ
ટ્રમ્પે આ નિવેદન એવા અહેવાલો અને ઈરાન તરફથી આવેલા નિવેદનોના જવાબમાં આપ્યું હતું, જેમાં નિરીક્ષણ વ્યવસ્થા અંગે અસંમતિ દર્શાવવામાં આવી હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)ના નિરીક્ષકો ભવિષ્યમાં ઈરાન જઈને સ્થિતિની તપાસ કરી શકશે.
નિરીક્ષણ વ્યવસ્થા અંગે અમેરિકા-ઈરાન વચ્ચે મતભેદ
ટ્રમ્પના આ નિવેદન બાદ વોશિંગ્ટન (અમેરિકા) અને તેહરાન (ઈરાન) વચ્ચે પરમાણુ દેખરેખને લઈને ફરી એકવાર મતભેદો સામે આવ્યા છે. અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમને મર્યાદિત કરતી કોઈપણ સમજૂતીમાં આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ વ્યવસ્થા એક મહત્વનો ભાગ રહેશે. બીજી તરફ, ઈરાનના અધિકારીઓનું કહેવું છે કે તેમણે વ્યાપક આંતરરાષ્ટ્રીય દેખરેખની મંજૂરી આપી છે એવી કોઇ વાત જાહેરમાં ક્યારેય સ્વીકારી નથી.
પરમાણુ સમજૂતીઓમાં હંમેશા મહત્વનું રહ્યું છે નિરીક્ષણ
ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને થયેલી અગાઉની આંતરરાષ્ટ્રીય સમજૂતીઓમાં પણ દેખરેખ અને ચકાસણીની વ્યવસ્થા સૌથી મહત્વના પાસાઓમાંથી એક રહી છે. અમેરિકા હંમેશા એ સુનિશ્ચિત કરવા માંગે છે કે ઈરાનની પરમાણુ પ્રવૃત્તિઓ માત્ર શાંતિપૂર્ણ હેતુઓ પૂરતી જ મર્યાદિત રહે.