સુરતઃ વેકેશન હોય કે તહેવારમાં પશ્ચિમ રેલવેના ઉધના સ્ટેશન પર હરહંમેશ પ્રવાસીઓની ભીડ હોય છે, જ્યાં ક્યારેક નિયંત્રિત બહાર પ્રવાસીઓની ભીડ થવાથી અફડાતફડીનું નિર્માણ થાય છે. આજે એવું કંઈક આજ સવારથી જોવા મળ્યું હતું. ઉધના રેલવે સ્ટેશન પર આજે ટ્રેનમાં જગ્યા મેળવવા માટે પ્રવાસીઓએ દોડાદોડ કરી મૂકી હતી, પરંતુ પરિસ્થિતિ નિયંત્રણ બહાર ગઈ હતી.
જોકે, અનિયંત્રિત ભીડને અંકુશમાં કરવા માટે રેલવે પોલીસને લાઠીચાર્જ કર્યો હતો, ત્યાર પછી હવે સ્થિતિ નિયંત્રણમાં હોવાનો રેલવેએ દાવો કર્યો છે, પરંતુ સ્ટેશનના પરિસરમાં મહિલાઓ સાથે બાળકોના નાસભાગના ડરામણા વીડિયોએ રેલવે પ્રશાસસનની ઊંઘ હરામ કરી નાાખી હતી.
આજે ઉધના સ્ટેશન પર લગભગ હજારો વધુ લોકો ધસી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જ્યાંથી અનેક લોકોએ ટ્રેન પકડી, જ્યારે અનેક લોકો ટ્રેન પકડવાથી વંચિત રહ્યા હતા. અમુક લોકોએ દોડાદોડ કરી મૂકીને કહ્યું હતું કે હવે પછી સુરત પાછા ફરી આવીશું નહીં તો અન્ય વીડિયોમાં બાળકો બૂમાબૂમ કરી મૂકી હતી, જે વીડિયો વાયરલ થયા પછી લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી.
એક પ્રવાસીએ કહ્યું હતું કે ઉધના સ્ટેશન પરથી મોટા ભાગે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો આ રેલવે સ્ટેશન પરથી મુસાફરી કરતા હોય છે. પરંતુ પ્રશ્ન એ છે કે, કોઈ પણ સ્થિતિ સર્જાય ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર શા માટે આવી અવ્યવસ્થા સર્જાય છે. આ પહેલા પણ જ્યારે દિવાળી કે અન્ય કોઈ તહેવારમાં આ લોકો પોતાના ઘરે જવા માંગતાં હોય છે ત્યારે પણ તેમને આવી સ્થિતિનો સામનો કરવો પડે છે. તો પછી રેલવે દ્વારા શા માટે આ અંગે કોઈ ઉકેલ શોધવામાં નથી આવતો? આ સમસ્યા વર્ષોથી જોવા મળી રહી છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે.
ગેસની અછતના કારણે અનેક કંપનીઓને તાળા લાગ્યાં
મધ્યપૂર્વમાં યુદ્ધનો માહોલ છે, તેવામાં તેલ અને એલપીડીનું સંકટ જોવા મળી રહ્યું છે. ભારતમાં પણ તેની અછત વર્તાઈ રહી છે. ગેસની અછતના કારણે અનેક કંપનીઓને પણ તાળા લાગ્યાં છે. કંપનીઓ બંધ થઈ જતા મજૂરી કરવા માટે આવેલા લોકો હવે પોતાના વતન તરફ પાછા જઈ રહ્યાં છે. જેના કારણે જ આજે ઉધના રેલવે સ્ટેશન પર હજારો મુસાફરોની ભીડ જોવા મળી હતી. યુપી બિહાર જથી ટ્રેનમાં સીટ લેવા માટે મોટી સંખ્યામાં લોકો પહેલાથી જ રેલવે સ્ટેશન આવીને બેસી ગયાં હતાં. આ દરમિયાન લોકોની ધીરજ ખૂટી એટલે સ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી.
સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો
આ લોકોને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો, જે ખરેખર નિંદનીય છે. સવારથી 11.30 વાગ્યાથી મોટી સંખ્યામાં લોકો લાઈનમાં આવી ગયા હતા, પરંતુ કેટલાક લોકોએ લાઈન તોડવાનો પ્રયત્ન કર્યો તેના કારણે સ્થિતિ કાબૂ બહાર નીકળી ગઈ હતી. લોકોએ ધક્કામુક્કી ચાલુ કરી દીધી અને રેલવે સ્ટેશર પર પહોંચવા લાગ્યાં હતા. કેટલાક લોકોએ તો પોલીસની લાઠીઓ પણ ખાધી છે. એક વીડિયો વાયરલ થયો તેમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે, ‘હવે હું ક્યારેય પાછો અહીં નહીં આવું’. આવી સ્થિતિ શા માટે? ગુજરાત હજારો લાખો લોકોને રોજગારી આપે છે, તો પછી અહીં આવતા લોકો શા પરેશાન થઈ રહ્યાં છે.
અત્યાર સુધીમાં 21,000 લોકોને રવાના કરવામાં આવ્યાં
આ અંગે રેલવે વિભાગનું કહેવું છે કે, આજે બપોર સુધીમાં 6 ટ્રેન દ્વારા 21,000થી પણ વધારે લોકોને રવાના કરી દેવામાં આવ્યાં છે. ભીડ એટલી વધી ગઈ તેના કારણે વ્યવસ્થા ખોરવાઈ હતી. રેલવે તંત્ર દ્વારા વારંવાર પ્રવાસીઓને લાઈનમાં રહેવા માટે અપીલ કરવામાં આવી છે, છતાં લોકો માની રહ્યા ના હોવાના કારણે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેમાં કેટલાકને ઈજાઓ થઈ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરવામાં આવી તેમાં ખુલાસો કરવામાં આવ્યો છે.
લખ્યું કે, અત્યારે ઉધના રેલવે સ્ટેશન પર પરિસ્થિતિ સામાન્ય અને નિયંત્રિત છે. ઉધના સ્ટેશન પર સ્થિતિ કંટ્રોલમાં છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ફક્ત સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખો અને અપ્રમાણિત માહિતી શેર કરવાનું ટાળો. રેલવે વિભાગે વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે, અત્યારે સ્થિતિ એકદમ સામાન્ય છે.
Fact Check | Situation at Udhna Railway Station is Normal & Well-Managed
— Western Railway (@WesternRly) April 19, 2026
On-ground conditions at Udhana Railway Station remain orderly, with effective crowd management in place.
Passengers are advised to rely only on official updates and refrain from sharing unverified… pic.twitter.com/uQXCOZAA3t
ગેસની અછતના કારણે સુરતના અનેક ઉદ્યોગો પ્રભાવિત થયાં છે. અનેક ઉદ્યોગો બંધ થયા હોવાના કારણે ઉત્પાદનમાં પણ ઘટડો આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ગેસની અછતને કારણે સુરતના કાપડ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. આશરે ૩૦% એટલે કે 3 લાખથી પણ વધારેકામદારો પહેલાથી જ સ્થળાંતર કરી ચૂક્યા છે, હજી પણ મોટી સંખ્યામાં લોકો ઉધના રેલવે સ્ટેશન પર આવીને બેઠા છે.
હોળી હોય કે દિવાળીમાં ભીડ અચૂક થાય છે
મૂળ વાત એ છે કે, ઉધના રેલવે સ્ટેશન પર દર વખતે હજારોની સંખ્યામાં લોકો હેરાન થાય છે. આ પહેલા પણ આવા અનેક વીડિયો વાયરલ થયેલા છે, તો પછી કેમ કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. આ પહેલા ફેબ્રુઆરીમાં હોળીના તહેવાર વખતે પણ ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં લોકો હેરાન થયા હતા. ટ્રેન માટે 12થી 14 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું. કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે, એક મહિના પહેલા ટિકિટ બુક કરાવી હોવા છતાં પણ સીટ નહોતી મળી! આવી સ્થિતિમાં રેલવે વિભાગની પણ જવાબદારી બને છે અને સાથે લોકોએ પણ ધીરજ રાખવાની જરૂર હોય છે.
દર વખતે માત્ર લોકોને જ કેમ હેરાન થવાનું થાય છે?
હોળી હોય, દિવાળી હોય, છઠ પૂજા હોય આવા તહેવારોમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો પોતાના વતન તરફ જતા હોય છે. આ દરમિયાન રેલવે સ્ટેશન પર લાંબી લાઈનો પણ જોવા મળતી હોય છે. એક મર્યાદા કરતા વધારે મુસાફરો આવી રહ્યાં છે તો તેના માટે બીજી વ્યવસ્થા હોવી જરૂરી છે. તંત્રને જાણ હોય છે કે, કે આ નિશ્ચિત સમયગાળા દરમિયાન આ રૂટમાં મુસાફરોની સંખ્યા વધવાની છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તો પછી કેમ વ્યવસ્થા ખોરવાઈ જાય છે એ પણ સવાલ છે.
દર વખતે માત્ર લોકોને જ કેમ હેરાન થવાનું થાય છે? તેના માટે જે તે વિભાગની શું કોઈ જવાબદારી નથી. લોકોને પોતાના ઘરે જવા માટે પણ પોલીસની લાઠીઓ ખાવી પડે છે. જ્યારે આવી સ્થિતિ નિર્માણ થાય છે કે, ત્યારે લોકોને તંત્ર પરથી ભરોસો ઉઠી જાય છે. આજે બનેલી ઘટનામાં પણ આવું જ થઈ રહ્યું છે. લોકોની ધીરજ ખૂટી રહી છે. એકબાજૂ ગેસની અછતના કારણે રોજગારી છીનવાઈ અને બીજી બાજૂ ઘરે જવા માટે પોલીસની લાઠીઓ! આવા સમયે લોકો કોના પર વિશ્વાસ રાખે? તે એક પ્રશ્ન બની ગયો છે.