શ્રીનગર : ભારતના ઓપરેશન સિંદૂરમાં સેનાએ પીઓકેના એક્ટિવ અનેક આતંકી લોન્ચ પેડને નષ્ટ કર્યા હતા. જોકે, હાલ મળેલી ગુપ્ત માહિતી મુજબ જમ્મુ કાશ્મીર નજીક એલઓસી અને ઇન્ટરનેશનલ બોર્ડરની પાર પીઓકે ફરી આતંકી લોન્ચ પેડ એક્ટિવ થયા છે. મળતી માહિતી મુજબ 70 થી વધુ આતંકી લોન્ચ પેડ સક્રિય થયા છે. તેમજ જમ્મુ કાશ્મીરમાં 800 થી વધુ આતંકીઓ ઘૂસણખોરીના પ્રયાસ કરી રહ્યા હોવાના અહેવાલ આવ્યા છે.
ઘૂસણખોરી કરાવીને માહોલ બગાડવા માંગે છે
પાકિસ્તાન હાલ સમગ્ર વિશ્વની નજર મિડલ ઈસ્ટના યુદ્ધ તરફ છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરી કરાવીને હિંસા ભડકાવવા માંગે છે. તેમજ તે ભારતના અનેક રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ સમયે આતંકીઓને ઘૂસણખોરી કરાવીને માહોલ બગાડવા માંગે છે.
10 લોન્ચપેડ આંતરરાષ્ટ્રીય સરહદની નજીક સ્થિત
ભારતીય ગુપ્તચર એજન્સીઓ અનુસાર પીઓકેમાં આતંકવાદીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.તેમને લોન્ચપેડ પર તૈનાત કરવામાં આવ્યા છે. આમાંથી 10 લોન્ચપેડ આંતરરાષ્ટ્રીય સરહદની નજીક સ્થિત છે. જ્યારે બાકીના એલઓસીની આસપાસ સક્રિય છે.