નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે એનઆઇએને આતંકવાદી ભંડોળ કેસમાં કાશ્મીરી ભાગલાવાદી નેતા શબ્બીર અહમદ શાહની જામીન અરજીનો વિરોધ કરતી વખતે ૧૯૯૦ના દાયકાના કેટલાક કથિત ભડકાઉ ભાષણોનો ઉલ્લેખ કરવા અંગે સવાલ કર્યો હતો.
રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઇએ)એ શાહની જામીન અરજી પર દલીલો સાંભળી રહેલા ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની ખંડપીઠને જણાવ્યું કે તેમની પાસે શાહ વિરુદ્ધ ભડકાઉ વીડિયો અને ખોટા ઇમેઇલ્સ સહિતની સામગ્રી છે. જ્યારે એનઆઇએ વત્તી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ વીડિયોના કેટલાક ટ્રાન્સક્રિપ્ટનો ઉલ્લેખ કર્યો ત્યારે ખંડપીઠે ભાષણોની તારીખ વિશે પૂછ્યું હતું.
લુથરાએ કહ્યું કે એજન્સી પાસે કેટલાક વીડિયોની તારીખો હતી અને તે ૧૯૯૦ના દાયકાના હતા. ખંડપીઠે જણાવ્યું કે આ ભાષણો કંઇ નવી વાત નથી. આ એવી વસ્તુઓ છે જે આજથી ૩૦ કે ૩૫ વર્ષ પહેલાથી અસ્તિત્વ ધરાવતી હતી. હવે તમે તેને ૨૦૧૯માં પાછા લાવો છો અને કહો છો કો આ ભડકાઉ ભાષણો છે.