સુરતઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. માતાએ તેના માત્ર 4 મહિનાના પુત્રને એસિડ પીવડાવ્યા બાદ ખુદ પણ એસિડ ગટગટાવી લીધું હતું. જેના કારણે બંનેના મોત થયા હતા. ઘટનાના પગલે સુરતમાં ચકચાર મચી ગઈ હતી.
સુરતના યોગીચોક વિસ્તારમાં રહેતી 29 વર્ષીય મહિલાના માત્ર દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. ચાર મહિના પહેલા તેણે પુત્રને જન્મ આપ્યો હતો. ડિલિવરી બાદ તેનું માનસિક સંતુલન બગડ્યું હતું. જેની દવા પણ ચાલતી હતી. માનસિક તણાવના કારણે તેણે છેલ્લા બે ત્રણ દિવસથી જમવાનું પણ છોડી દીધું હતું.
પરિવાર આઘાતમાં
ગઈકાલે સાંજે તે તેના 4 મહિનાના પુત્રને લઈ સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા શૌચાલયમાં ગઈ હતી. જ્યાં પહેલા તેણે માસૂમ પુત્રને એસિડ પીવડાવ્યું હતું અને બાદમાં ખુદ પણ ગટગટાવી લીધું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ બંનેને સારવાર અર્થે ખસેડ્યા હતા. સારવાર દરમિયાન જ બંનેએ દમ તોડ્યો હતો. માતા-પુત્રના મોતથી પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.
પોલીસે શું કહ્યું
પોલીસના જણાવ્યા પ્રમાણે, પરિણીતાએ ડિલિવરી બાદ થતાં ડિપ્રેશનના કારણે આ પગલું ભર્યું છે કે અન્ય કોઈ કારણોસર તેની તપા શરૂ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલાં સુરતમાં એક માતાએ જ તેના મૃત નવજાતને પ્લાસ્ટિકની થેલીમાં પેંક કરીને કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું. કૂતરા દ્વારા આ થેલી ખેંચીને લઈ જવામાં આવતી હતી ત્યારે ઘટનાનો પર્દાફાશ થયો હતો.
પોલીસે તપાસ કરીને માતાની ધરપકડ કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે, તેના બે કિશોર બાળકો છે. ગર્ભવતી થયા બાદ બાળકનો અધૂરા મહિને જન્મ થયો હતો. સમાજમાં બદનામીના ડરથી તેણે આ પગલું ભર્યું હતું.