સુરતઃ શહેરમાંથી દુબઈ વેપાર-ધંધા કે ફરવા જતા લોકો માટે મહત્ત્વના સમાચાર છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે 17 મેથી સુરત-મુંબઈ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. ફ્લાઈટનું બુકિંગ શરૂ થઈ ગયું છે. દુબઈ એરપોર્ટ પર વિદેશી એરલાઇન્સ માટે મર્યાદિત સ્લોટની ઉપલબ્ધતા અને ઈરાન-યુએસ સંઘર્ષને કારણે ઊભી થયેલી તણાવભરી સ્થિતિને લીધે ફેબ્રુઆરી મહિનાથી આ સેવા સ્થગિત કરવામાં આવી હતી.
વર્તમાન સમયમાં, સુરતથી કોઈ સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સેવા નથી, જેના કારણે મુસાફરોને, ખાસ કરીને ગલ્ફ દેશોમાં કામ કરતા અથવા વ્યવસાય કરતા લોકોને ભારે અગવડતા પડી રહી છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન સુરત અને દુબઈ વચ્ચે 79,411 મુસાફરોએ મુસાફરી કરી હતી, જે દર્શાવે છે કે આ રૂટ પર નોંધપાત્ર માંગ છે.
વિમાન ભાડા નિયંત્રણમાં રાખવામાં આવે તેવી મુસાફરોએ એરલાઇન અને સત્તાવાળાઓને વિનંતી કરી છે. ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે નજીકના ભવિષ્યમાં સુરતથી અન્ય વધારાના આંતરરાષ્ટ્રીય રૂટ પણ શરૂ થઈ શકે છે.