નવી દિલ્હી: સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અને ધાર્મિક સ્વતંત્રતા સંબંધિત કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો કે, ઉત્તર ભારતમાં રહેતો આસ્થા ના ધરાવતો વ્યકિત કયા આધાર પર સબરીમાલા મંદિરમાં પ્રવેશનો દાવો કરી શકે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સામાજિક સુધારાના નામે ધર્મના મૂળભૂત માળખાને નબળો ના પાડી શકાય.
વર્તમાનને સમજવા માટે ભૂતકાળને અવગણી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન અવલોકન કર્યું કે ભારતની સભ્યતા અને ધાર્મિક ઇતિહાસને અવગણી શકાય નહિ. કોર્ટે કહ્યું કે ભારતના બંધારણના અનુચ્છેદ 25 અને 26 પણ ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાંથી વિકસિત થયા છે. કોર્ટના મતે વર્તમાનને સમજવા માટે ભૂતકાળને અવગણી શકાય નહીં.
ધાર્મિક સ્થળોને લગતા કેસોમાં શ્રદ્ધાનું પાસું પણ મહત્વપૂર્ણ
આ ઉપરાંત નવ જજની બંધારણીય બેન્ચે અવલોકન કર્યું કે, મંદિર પ્રવેશના અધિકાર સંબંધિત કેસોમાં એ નક્કી કરવું જરૂરી છે કે દાવેદાર ભક્ત છે કે નહીં. કોર્ટે સૂચવ્યું કે ધાર્મિક સ્થળોને લગતા કેસોમાં શ્રદ્ધાનું પાસું પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સબરીમાલા સહિત વિવિધ ધાર્મિક સ્થળોએ મહિલાઓ સામે કથિત ભેદભાવનો મુદ્દો ઉઠાવતી અરજીઓની સુનાવણી દરમિયાન આ અવલોકન કરવામાં આવ્યું હતું. કોર્ટ હાલમાં આ મામલે ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતાના અધિકાર વચ્ચે સંતુલનની તપાસ કરી રહી છે.