Fri Jul 24 2026

Logo

સોનમ વાંગચુકે મોદી સરકારને ઝૂકાવીઃ મંત્રીઓએ હોસ્પિટલમાં જઈ શું લેખિત ખાતરી આપી ? 26 દિવસના ઉપવાસનો અંત

2026-07-24 12:08:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ સોનમ વાંગચુકે મોડી રાત્રે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી. મોડી રાત્રે કેન્દ્રીય પ્રધાન જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહે હોસ્પિટલમાં સોનમ વાંગચુકને મળ્યા અને તેમને ભૂખ હડતાળ સમાપ્ત કરવા માટે સમજાવ્યા. તે પછી સોનમ વાંગચુકે પોતાના ભૂખ હડતાલ પૂર્ણ કરી દીધી છે. ભૂખ હડતાળ સમાપ્ત કરવાનો નિર્ણય વિવિધ પરિસ્થિતિઓ અને દેશમાં હિંસાની સંભાવનાને ધ્યાનમાં રાખીને લાંબી ચર્ચા બાદ લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે હવે સરકાર તરફથી મળેલા પ્રસ્તાવ અંગે એક વિગતવાર નિવેદન જારી કર્યું છે.

લાંબી વાટાઘાટો અને સરકારના 3 મુખ્ય વચનો

ભૂખ હડતાળ પૂર્ણ કરતા સોનમ વાંગચુકે જણાવ્યું કે, દેશના 65થી વધુ સાંસદોએ તેમને ઉપવાસ છોડવા વિનંતી કરી હતી. ત્યારબાદ છેલ્લા બે દિવસથી કેન્દ્ર સરકાર અને તેમની વચ્ચે કડક શરતો પર મંત્રણા ચાલી રહી હતી. આખરે સરકારે  ત્રણ મુખ્ય મુદ્દાઓ પર લેખિત આશ્વાસન આપ્યું છે, જેના કારણે આ ભૂખ હડતાળ પૂર્ણ કરવામાં આવી છે. 

કઈ શરતો પર હડતાળ પૂર્ણ કરવામાં આવી?

વિગતે વાત કરવામાં આવે તો, જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ કે 'સંસદ ચલો' માર્ચમાં સામેલ યુવાનો સામે કોઈ પણ પ્રકારની એફઆઈઆર (FIR) કે કાનૂની પગલાં લેવામાં આવશે નહીં. પેપર લીકના તણાવમાં જીવ ગુમાવનારા 20થી વધુ માસૂમ બાળકોના પરિવારોને સરકાર યોગ્ય નાણાકીય સહાય અને વળતર ચૂકવશે. દેશની પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા લાવવા અને જવાબદેહી નક્કી કરવા માટે ચાલુ સંસદ સત્રમાં જ આ વિષય પર વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવશે.  

 

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે શું કહ્યું?

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ અંગે વાંગચુકે સ્પષ્ટતા કરી કે, સરકાર આ અંગે સમયમર્યાદા આપવા તૈયાર નહોતી. તેમણે કહ્યું કે, મારી પાસે બે વિકલ્પ હતા. એક તો હું ઉપવાસ ચાલુ રાખીને મારો જીવ જોખમમાં મૂકું, અથવા દેશના હિતમાં અને વિદ્યાર્થીઓની સલામતી માટે આ લડાઈ આગળ ધપાવું! જો શિક્ષણ પ્રધાન રાજીનામું નથી આપતા, તો તેનાથી વિદ્યાર્થીઓને નહીં પણ સરકારની પોતાની છબીને જ નુકસાન થશે’. વધુમાં કહ્યું કે, આ નાના મુદ્દાને ઉકેલવામાં નિષ્ફળ રહીને, તેઓ (સરકાર) પોતાને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે રાજીનામું આપી દેવું જોઈતું હતું; રાજીનામું આપવાથી આ બધું નુકસાન ઘણા સમય પહેલા અટકી ગયું હોત!

ભૂખ હડતાળ મામલે સીજેપીએ શું કહ્યું?

સોમન વાંગચુકે સરકારના પ્રસ્તાવનો સ્વીકાર કરીને પોતાની ભૂખ હડતાળ પૂર્ણ કરી નાખી છે. જેમાં સીજેપીએ પણ સત્તાવાર નિવેદન આપ્યું છે. સીજેપીનું કહેવું છે કે, સોમન વાંગચુકે ભૂખ હડતાળ પૂર્ણ કરી તેનો આનંદ છે, પરંતુ આ પ્રોટેસ્ટ પૂર્ણ કરવાાં આવશે નહીં. જ્યા સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ ભૂખ હડતાળ ચાલુ રહેવાની છે.