અયોધ્યા: અયોધ્યાના રામ મંદિરના દાન ચોરી બાદ સમગ્ર ટ્રસ્ટ વ્યવસ્થાપનમાં મોટા પાયે બદલાવ કરવામાં આવી રહ્યો છે. જેમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક મહત્વપૂર્ણ બેઠક 2 સપ્ટેમ્બરના રોજ મણિરામ દાસ છાવની ખાતે યોજાવાની છે. આ બેઠક દરમિયાન ટ્રસ્ટની વહીવટી અને વ્યવસ્થાપન વ્યવસ્થા અંગે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે.
ટ્રસ્ટની નિયમિત બેઠક સાંજે 4:00 વાગ્યે શરૂ થશે
આ અંગે મળતી માહિતી મુજબ ટ્રસ્ટની નિયમિત બેઠક સાંજે 4:00 વાગ્યે શરૂ થશે. આ પૂર્વે જ ખાલી જગ્યાઓ માટે નવા સભ્યોની પસંદગી અને મુખ્ય કાર્યકારી અધિકારી ની નિમણૂક અંગે ચર્ચા કરવા માટે એક ખાસ બેઠક બોલાવવામાં આવે તેવી શક્યતા છે.
ડૉ. કૃષ્ણ મોહન મહાસચિવનું પદ સંભાળશે
ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, ડૉ. કૃષ્ણ મોહન હાલ માટે મહાસચિવનું પદ સંભાળશે. તેઓ હાલમાં વચગાળાના મહાસચિવ તરીકે સેવા આપી રહ્યા છે. દાન ચોરીની ઘટનાને પગલે ભૂતપૂર્વ મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાના રાજીનામા બાદ બે પદ ખાલી પડ્યા હતા. તેમજ ટ્રસ્ટી બિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રાના અવસાનને કારણે બીજી એક બેઠક ખાલી પડી છે. આમ, ટ્રસ્ટમાં ત્રણ પદો માટે નવા સભ્યોની પસંદગી બાકી છે.
સીઈઓની નિમણૂકની પ્રક્રિયા અંતિમ તબક્કામાં
રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ કાયમી સીઈઓની નિમણૂકની પ્રક્રિયા પણ તેના અંતિમ તબક્કામાં છે. સીઈઓની પસંદગી માટે રચાયેલી ત્રણ સભ્યોની સમિતિએ ઇન્ટરવ્યુ પછી ત્રણ ઉમેદવારોની ટૂંકી યાદી તૈયાર કરી છે. આ યાદી ટ્રસ્ટને આપવામાં આવશે. તેમજ ટ્રસ્ટીઓ ત્રણ વ્યક્તિઓમાંથી એકની પસંદગી કરી શકે છે. સીઈઓની નિમણૂકથી મંદિરના દૈનિક વહીવટ, સંચાલન, કર્મચારીઓ સંબંધિત બાબતો, યાત્રાળુ સુવિધાઓ અને વિવિધ કામગીરીના સંકલનમાં વધુ સંસ્થાકીય માળખું લાવવાની અપેક્ષા છે.