Fri Sep 04 2026

Logo

"2014માં કહેતા હતા 10 માથા કાપી લાવીશ, હવે કેમ ડરો છો?": શક્તિસિંહ ગોહિલે પીએમ મોદીને ઘેર્યા

2026-06-12 17:25:25
Author: Devayat Khatana
"2014માં કહેતા હતા 10 માથા કાપી લાવીશ, હવે કેમ ડરો છો?": શક્તિસિંહ ગોહિલે પીએમ મોદીને ઘેર્યા

અમદાવાદ: ઓમાનના દરિયાકાંઠે એક કમર્શિયલ  જહાજ પર થયેલા હુમલામાં  ભારતીય ખલાસીઓના મોત બાદ ભારતે કડક વલણ અપનાવ્યું છે. નાગરિકોના જીવ ગુમાવવા બદલ આ ગંભીર ઘટના સામે કડક વાંધો વ્યક્ત કરતા, વિદેશ મંત્રાલય (MEA) એ ફરીથી યુએસ ડેપ્યુટી એમ્બેસેડર જેસન મીક્સને સમન્સ પાઠવીને આકરો વિરોધ નોંધાવ્યો છે. તાજેતરના દિવસોમાં આ બીજી વખત છે જ્યારે ભારતે કોઈ અમેરિકન રાજદૂતને સમન્સ પાઠવ્યા છે. જોકે ભારતીય ખલાસીઓના મોત મુદ્દે કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી છે.

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહીલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જૂના નિવેદન યાદ અપાવીને ભીંસમાં લીધા હતા. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, આપણાં વડા પ્રધાન 2014ની ચૂંટણી સમયે કહેતા હતા કે જો કોઈ એક ભારતીયને મારશે તો દસ માથા કાપી લાવીશ. 
હવે, ભારત સરકારના જળમાર્ગ પ્રધાન સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે ઓમાનના અખાતમાં તેલ ટેન્કર પર યુએસ સૈન્યના હુમલા બાદ ગુમ થયેલા ત્રણ ભારતીય ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે. આપણા વડા પ્રધાન આ મુદ્દે સંપૂર્ણપણે મૌન છે. તેમણે વડા પ્રધાનને પ્રશ્ન કર્યો હતો કે, શું તમે આ અમેરિકન હુમલાની નિંદા પણ નહીં કરો? તમે શા માટે ડરો છો? શું તમારી કોઈ નબળી કડી અમેરિકાના હાથમાં છે?

આગળ તેમણે કહ્યું હતું કે જહાજ ડૂબી રહ્યા છે. અમેરિકન મિસાઇલ હુમલા પછી ભારતીય ક્રૂએ મદદ માટે વિનંતી કરી રહ્યા છે, જ્યારે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં કહ્યું, "USS અબ્રાહમ લિંકનથી ઉડતા એક F/A-18 સુપર હોર્નેટ ફાઇટર જેટે જહાજના એન્જિનિયરિંગ અને સ્ટીયરિંગ વિભાગો પર સચોટ હથિયારથી ફાયરિંગ કર્યું." છતાં, આપણા વડા પ્રધાન મૌન છે! શું આ યોગ્ય છે? તેમણે યુઝર્સને કમેન્ટ સેકશનમાં અભિપ્રાય શેર કરવા પણ અપીલ કરી હતી. અંતે તેમણે ત્રણ મૃત ભારતીયોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અમેરિકા દ્વારા કરવામાં આવેલા કાયર હુમલાની સખત નિંદા કરી હતી. 

આ મામલે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ ટ્વીટર લખ્યું છે કે, આંતરરાષ્ટ્રીય જળસીમામાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ જહાજો પર થયેલા અમેરિકી હુમલાઓમાં ત્રણ ભારતીય નાવિકોના કરુણ મોત નીપજ્યા  છે, ત્યારે આપણા કોમ્પ્રોમાઝડ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મૌન છે. જ્યારે કોઈ વિદેશી તાકાત ભારતીય નાગરિકોની હત્યા કરે ત્યારે વડાપ્રધાને દેશ સમક્ષ નિવેદન આપવું જોઈએ, પરંતુ આ મામલે તેઓ સંપૂર્ણપણે મૌન છે. 

આગળ તેમણે કહ્યું કે આગામી સપ્તાહે યોજાનારી G7 સમિટમાં દેશના નાવિકોના મોતની આટલી મોટી દુર્ઘટનાના ગણતરીના દિવસો બાદ જ પીએમ મોદી ત્યાં વૈશ્વિક નેતાઓ સાથે હસતાં હસતાં ગળે મળતા જોવા મળશે, પરંતુ આ ભારતીયો માટે તેમની પાસે સંવેદનાનો એક શબ્દ પણ નથી. તેમણે અંતે કહ્યું કે આ ભારતીયોને મારનાર  વિદેશી શક્તિને નારાજ કરવાની હિંમત કે તાકાત ન હોવાને કારણે વર્તમાન વડા પ્રધાન 'ભારત માતાના દીકરાઓ'ની રક્ષા કરવામાં અસમર્થ સાબિત થયા છે.