નવી દિલ્હી/તહેરાન: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે ઈરાન સાથેની સીધી વાતચીતને જહાજોની અવરજવર શરૂ કરવાનો સૌથી અસરકારક માર્ગ ગણાવ્યો છે. તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન, ફ્રાન્સ, બ્રિટન અને અન્ય સાથી દેશોને હાકલ કરી હતી કે તેઓ આ મહત્વપૂર્ણ જળમાર્ગને બળજબરીથી ખોલાવવા માટે અમેરિકાને સહયોગ આપે અને પોતાના યુદ્ધજહાજો મોકલે. ટ્રમ્પનો આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાન દ્વારા આ સમુદ્રી માર્ગ બંધ કરી દેવાતા વૈશ્વિક બજારમાં ઊર્જાના ભાવ આસમાને પહોંચ્યા છે. હવે વિવિધ દેશો પાસે બે વિકલ્પો છે: કાં તો તેઓ ઈરાન સાથે મંત્રણા કરે અથવા સૈન્ય કાર્યવાહીમાં સામેલ થાય, જે તેમને મધ્ય પૂર્વના ભયાનક સંઘર્ષમાં ધકેલી શકે છે.
ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે આ બાબતે રાજદ્વારી સફળતાનો પુરાવો આપતા જણાવ્યું છે કે નવી દિલ્હી અને તેહરાન વચ્ચેની વાટાઘાટોથી હકારાત્મક પરિણામો મળ્યા છે. આ ડિપ્લોમસીને કારણે જ શનિવારે ભારતીય ધ્વજ ધરાવતા ગેસના બે ટેન્કરો સુરક્ષિત રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ શક્યા હતા. જયશંકરે એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, તેઓ હાલમાં ઈરાન સાથે સતત સંપર્કમાં છે અને આ વાતચીતના ફળ સ્વરૂપે જ જહાજોનો માર્ગ મોકળો થયો છે. તેમણે ઉમેર્યું કે જો મંત્રણાથી પરિણામો મળી રહ્યા હોય, તો ભારત કુદરતી રીતે જ આ પદ્ધતિને આગળ વધારવાનું પસંદ કરશે.
ભારતનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ છે કે સૈન્ય શક્તિના પ્રદર્શન કરતા પરસ્પર સમજાવટ અને સંકલન દ્વારા ઉકેલ લાવવો એ વધુ શ્રેષ્ઠ માર્ગ છે. એસ. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો આપણે તર્કસંગત રીતે વાતચીત કરીને ઉકેલ લાવી શકીએ, તો તે સંઘર્ષ કરતા હંમેશા વધુ સારું છે. ભારત માને છે કે જો તેમનો આ રાજદ્વારી માર્ગ અન્ય દેશોને પણ ઈરાન સાથે જોડાવા માટે પ્રેરિત કરશે, તો તેનાથી સમગ્ર વિશ્વનું હિત જળવાશે. આ રીતે, ભારત લશ્કરી ગઠબંધનમાં જોડાવાને બદલે શાંતિપૂર્ણ મંત્રણા દ્વારા ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાના પક્ષમાં મક્કમ દેખાઈ રહ્યું છે.