નવી દિલ્હી : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું છે કે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની કિંમત ભારતે પણ ચૂકવવી પડશે. તેમણે કહ્યું કે આ યુદ્ધના લીધે દેશમાં ઇંધણના ભાવમાં વધારો થશે અને આર્થિક વિકાસ
ધીમો પડશે.
યુદ્ધના લીધે હોર્મુઝ સ્ટ્રેટ પર અવરોધ ઉભો થયો
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આ યુદ્ધ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે લાગે છે. પરંતુ વાસ્તવમાં તે અમેરિકા, ચીન અને રશિયા વચ્ચેની વ્યૂહાત્મક વેપાર સ્પર્ધાને પ્રતિબિંબિત કરે છે. અમેરિકા વર્લ્ડ પાવર તરીકે પોતાનું પ્રભુત્વ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ઉપરાંત યુદ્ધના લીધે હોર્મુઝ સ્ટ્રેટ પર અવરોધ ઉભો થયો છે. તેમજ મધ્ય પૂર્વ વિશ્વમાં ઉર્જા ઉત્પાદન માટેનું એક મુખ્ય કેન્દ્ર છે. જેના લીધે હવે વૈશ્વિક પુરવઠા પર દબાણ ઉભું થઈ રહ્યું છે.
તણાવ વધશે તો સ્થિતી વધુ ગંભીર બનશે
તેમજ જયારે આ દેશો એકબીજા સાથે સંઘર્ષમાં છે ત્યારે અન્ય દેશોને તેની કિંમત ચુક્વવી પડશે. તેમજ ભારત ઇંધણ માટે મિડલ ઇસ્ટ પર આધારિત છે. તેથી ભારત પર તેનો પ્રભાવ પડશે. તેમજ જો આ તણાવ વધશે તો સ્થિતી વધુ ગંભીર બનશે. તેમજ ઇંધણની કિંમતોમાં વધારો પણ શકય છે. જેના લીધે દેશનો આર્થિક વિકાસ ધીમો પડશે.
ભારતે સાવધાની રાખવી જોઈએ
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આવી પરિસ્થિતિમાં ભારતે ખાસ સાવધાની રાખવી જોઈએ.આ ફક્ત ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ નથી. તે એક મોટા વૈશ્વિક પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. આપણે એવા સમયગાળામાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં આવા સંઘર્ષો વારંવાર થઈ શકે છે. ભારતે સમજવું જોઈએ કે વિશ્વ વધુ અસ્થિર અને ખતરનાક યુગમાં પ્રવેશી રહ્યું છે. ભારત માટે નીતિગત સ્થિતિ સ્પષ્ટ હોવી જોઈએ.