Wed Jun 17 2026

Logo

‘મારા પ્રશ્નો સાંભળીને અમિત શાહ ધ્રૂજતા હતા’ રામલીલા મેદાનમાં રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર

2025-12-14 20:19:25
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી: રામલીલા મેદાનમાં કોંગ્રેસે આજે વોટ ચોરી ગદ્દી છોડ નામે એક રેલીનું આયોજન કર્યું છે. આ રેલ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સાંસદ મનીષ તિવારી સાથે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ આવ્યાં છે. આ રેલીમાં પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પર વાક્ પ્રહારો કર્યાં હતા. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં સંસદમાં અમિત શાહે સાથે થયેલી વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો અને આંદામાન-નિકોબારના કાર્યક્રમ અંગે પણ કટાક્ષ કર્યો હતો.

રામલીલા મેદાનમાં કોંગ્રેસે રેલીનું આયોજન કર્યું 

રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ અહીં (રામલીલા મેદાનમાં) આવી રહ્યાં હતા ત્યારે તેમનું ભાષણ પહેલાથી જ નક્કી હતું, પરંતુ રસ્તામાં ખબર પડી કે, આંદામાન-નિકોબારમાં મોહન ભાગવતે એક નિવેદન આપ્યું છે, જેથી આ નિવેદન સાંભળીને પોતાનું ભાષણ બદલી લીધું હોવાનું રાહુલ ગાંધીએ જણાવ્યું છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધીનું કહેવું છે કે ભારતની સંસ્કૃતિ અને દરેક ધર્મો સત્ય પર ટકેલા છે. સત્યમ શિવમ સુંદરમનો ઉલ્લેખ કરતા કહ્યું કે સત્ય મૂલ્યવાન છે, પરંતુ આરએસએસના વિચાર તેનાથી વિપરીત છે. મોહન ભાગવત અને આરએસએસની વિચારધારામાં સત્યને કોઈ સ્થાન નથી. તેઓ માત્ર તાકાત અને સત્તાને જ પ્રાધાન્યતા આપે છે.

અમિત શાહ અને મોહન ભાગવત સીધા પ્રહારો

આ રેલી દરમિયાન રાહુલ ગાંધીએ અમિત શાહ પર પણ વાક્ પ્રહાર કર્યાં છે. કહ્યું કે, મારા પ્રશ્નોનો તેમની (અમિત શાહ) પાસે કોઈ જવાબ નહોતો. મેં સંસદમાં જે પણ પ્રશ્નો પૂછ્યાં હતા, સરકાર પાસે તેનો કોઈ જવાબ નહોતો. એટલા માટે સંસદમાં અમિત શાહના હાથ ધ્રૂજી રહ્યાં હતાં. રાહુલ ગાંધીનું કહેવું છે કે, દેશમાં અત્યારે સત્તા અને સત્યની લડાઈ ચાલી રહી છે. ભાષણમાં ભાજપ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમની (ભાજપ) પાસે સત્તા છે, તાકાત છે, પરંતુ અમારી પાસે સત્ય છે. અને હું દાવા સાથે કહું છે કે, સત્ય સાથે રહીને અમે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને આરએસએસ-ભાજપની સરકારને સત્તામાંથી હટાવીશું.

નવા કાયદાઓ અંગે સરકાર પર રાહુલ ગાંધીના આક્ષેપો

ચૂંટણી પંચ સ્વતંત્ર રીતે અને નિષ્પક્ષ સંસ્થાની જેમ કામ નથી કરતું, પરંતુ સરકાર સાથે મળીને નિર્ણયો લે છે તેવો રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, પરંતુ રહે આ બધા સત્ય સામેની લડાઈનો ભાગ છે જેઓ સત્યને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. નવા કાયદાઓ અંગે પણ રાહુલ ગાંધીએ સવાલો કર્યાં છે. તેમનું કહેવું છે કે, નવા કાયદાઓના કારણે ચૂંટણી પંચની તાકાત ઓછી થઈ ગઈ છે. આ લોકશાહી માટે ખૂબ જ ઘાતક છે. એટલું જ નહીં પરંતુ ત્યારે કોંગ્રેસ સત્તામાં આવશે ત્યારે આ કાયદાઓને બદલવામાં આવશે તેવું રાહુલ ગાંધીએ સ્પષ્ટ રીતે કહ્યું છે. 

ચૂંટણી કમિશનરોને સીધો સંદેશ આપતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘તમે ભારતના ચૂંટણી કમિશનર છો, નરેન્દ્ર મોદીના નહી’. મૂળ વાત એ છે કે, રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, આરએસએસ, મોહન ભાગવત અને ભાજપ પાર્ટી અને ભારતના ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યાં છે. એટલું જ નહીં પરંતુ પોતાના પાર્ટી કોંગ્રેસ અત્યારે સત્યની લડાઈ લડી રહી હોવાનો દાવો પણ કર્યો છે.