ચંડીગઢઃ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, અત્યારે પંજાબ સરકારમાં વિખવાદ ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પંજાબના રાજકીય માહોલમાં મોટી ઉથલપાથલ થઈ છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનએ કેબિનેટ પ્રધાન લાલજીત સિંહ ભુલ્લરનું રાજીનામું માંગ્યું છે. એટલું જ નહીં પરંતુ લાલજીત સિંહના રાજીનામાનો સીએમ દ્વારા સ્વીકાર પણ કરી લેવામાં આવ્યો છે.
કેબિનેટ પ્રધાન પર ડીએમને અપમાનિત કરવાનો આરોપ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, કેબિનેટ પ્રધાન લાલજીત ભુલ્લર પરિવહન અને જેલનો હવાલો સંભાળે છે. તેમના પર વેરહાઉસિંગના જિલ્લા મેનેજર (ડીએમ) ગગનદીપ સિંહને તેમના નિવાસસ્થાને બોલાવવાનો અને શારીરિક હુમલો કરવાનો આરોપ છે. આ દરમિયાન એક સરકારી અધિકારીને ખૂબ અપમાનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, અધિકારીએ એક વીડિયો સંદેશ રેકોર્ડ કર્યો અને આત્મહત્યા કરી લીધી હતી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે પંજાબના મુખ્ય પ્રધાને આ મામલાની તપાસ મુખ્ય સચિવને સોંપી હોવાનું પણ જાણવા મળ્યું છે.
પંજાબના સીએમની કાર્યવાહીની ભારે ચર્ચા
પત્રકાર પરિષદનો સંબોધિત કરતા પંજાબના સીએમ ભગવંત માને જણાવ્યું કે, તેઓ કાયદો અને વ્યવસ્થા કે ડ્રગ્સ અંગે કોઈપણ પ્રકારની ઢીલ સહન કરશે નહીં. આવી પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ વ્યક્તિ કડક સજા ભોગવશે, પછી ભલે તે કોઈ પણ હોય. આમ કો નેતા સાથે સીધી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય તેવા ખૂબ જ ઓછા દાખલાઓ છે. પંજાબના સીએમ દ્વારા અત્યા કાર્યવાહી કરવામાં આવી છે, તેની સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે.