Wed Jun 10 2026

Logo

મહાવીર જયંતી પર પીએમ મોદીએ કર્યો જય જિનેન્દ્રનો જયઘોષ, કહ્યું - સમ્રાટ સંપ્રતિ માત્ર રાજાનું નામ નથી પણ...

2026-03-31 12:14:00
Author: MayurKumar Patel
Article Image

ગાંધીનગરઃ વડા પ્રધાન મોદી આજે એક દિવસની ગુજરાત મુલાકાતે છે. અમદાવાદ એરપોર્ટ ઉતરાણ બાદ તેઓ ગાંધીનગરના કોબા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું અને નિહાળ્યું હતું. જે બાદ સભા સ્થળ પર પહોંચ્યા હતા. સભા સ્થળ પર પહોંચ્યા બાદ વડા પ્રધાન મોદીએ મહાવીર સ્વામીને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. તેમજ પીએમ મોદીએ મંચ પરથી જૈન સાધુ-સાધ્વીઓને પ્રણામ કર્યા હતા. જય જિનેન્દ્રનો જયઘોષ કરાવીને પીએમ મોદીએ સંબોધનની શરૂઆત કરી હતી. કોબા તીર્થ ધામથી તમામ દેશવાસીઓને મહાવીર જયંતીની શુભકામના. સમ્રાટ સંપ્રતિ માત્ર રાજાનું નામ નથી, એક એવો સેતુ છે જે ભારતના દર્શન અને વ્યવહારને જોડે છે. આ મ્યુઝિયમમાં દરેક જગ્યાએ ભવ્ય ભારતના દર્શન થાય છે. દરેક ગેલેરીમાં અલગ અલગ દર્શન થાય છે. આ મ્યુઝિયમમાં ભારતની સૌથી મોટી શક્તિના દર્શન થાય છે.

પાંડુલિપિનું ડિજિટાઈઝેશન 

જૂની સરકારોએ પાંડુલિપિની ઉપેક્ષા કરી હતી તે ભૂલ અમે સુધારી રહ્યા છીએ. આ મિશન અંતર્ગત પ્રાચીન પાંડુલિપિનું ડિજિટાઈઝેશન થઈ રહ્યું છે. વૈજ્ઞાનિક રીતે સંરક્ષણ થઈ રહ્યું છે.  આ રવિવારે મન કી બાતમાં પણ તેનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેમણે કહ્યું, આજે વિશ્વ જે રીતે અસ્થિરતા અને અશાંતિની આગમાં દાઝી રહ્યું છે ત્યારે આ મ્યુઝિયમનો સંદેશ પૂરી માનવતા માટે મહત્વપૂર્ણ છે. દુનિયાના દેશોમાંથી આવનારા જીજ્ઞાસુની સંખ્યા વધે એવો પ્રયાસ કરવો જોઇએ.


હર્ષ સંઘવીએ કહ્યું,  વિશ્વમાં વસતા જૈનોથી આનાથી મોટો કોઈ ઉત્સવ ન હોઈ શકે. આ મ્યુઝિયમ જૈન શાસનની આન, બાન, શાનનું પ્રતીક છે. આ મ્યુઝિયમ આવનારી પેઢીને વિરાસતનો માર્ગ બતાવશે. વડા પ્રધાન દેવ આરાધનાનો અવસર ક્યારેય ચૂકતા નથી.  ગુરુ ભગવંતોએ ભારે ગરમીમાં વિહાર અને શેત્રુંજયની યાત્રામાં પડતી તકલીફોમાં વડા પ્રધાને દિશા આપી એટલું જ નહીં, ગુરુ ભગવંતો માટે કેટલું કામ કર્યું તેની પણ ઉઘરાણી કરવાનો હું સાક્ષી રહ્યો છું. શેત્રુંજ્ય પર્વતની દાદરાની બન્ને બાજુ ઘટાદાર વૃક્ષો વાવવાની પણ પ્રેરણા આપી છે.

 

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું, આ મ્યુઝિયમ આપણી વિરાસતને ધબકતું રાખશે. આ સ્થળ આવનારી પેઢીઓને જૈન ધર્મના મૂલ્યોને ચિરંજીવ રાખવાનું કેન્દ્ર બનશે.