Wed Jun 17 2026

Logo

પીએમ મોદી કરશે ‘ઈન્ડિયા એઆઈ ઇમ્પૅક્ટ એક્સપો 2026’નું ભવ્ય ઉદ્ઘાટન

2026-02-16 10:00:00
Author: Tejas Rajpara
Article Image

નવી દિલ્હી: ભારતની રાજધાની દિલ્હી આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે 'ઈન્ડિયા એઆઈ ઇમ્પૅક્ટ એક્સપો 2026'નું વિધિવત ઉદ્ઘાટન કરશે. 16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન ચાલનારો આ સમિટ માત્ર પ્રદર્શન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે વિશ્વભરના નવાચારો, નીતિ ઘડવૈયાઓ અને ટેકનોલોજીને સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવા માટેનું એક સશક્ત માધ્યમ સાબિત થશે.

આ આયોજનની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમાં 7 દેશોના રાષ્ટ્રપતિ, 9 દેશોના વડાપ્રધાન અને વિશ્વની મોટી ટેક કંપનીઓના CEO હાજરી આપવાના છે. 5 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં અંદાજે 25 લાખથી વધુ મુલાકાતીઓ આવવાની શક્યતા છે. આ એક્સપો 70,000 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, જાપાન, બ્રિટન અને ફ્રાન્સ જેવા 13 દેશોના અલગ-અલગ પેવેલિયન પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

એક્સપોમાં 600થી વધુ હાઈ-પોટેન્શિયલ સ્ટાર્ટઅપ્સ ભાગ લઈ રહ્યા છે, જેઓ રિયલ-વર્લ્ડ સમસ્યાઓના એઆઈ આધારિત ઉકેલો રજૂ કરશે. આ પ્રદર્શનને ત્રણ મુખ્ય થીમ – ‘લોકો, ગ્રહ અને ઉન્નતિ’ (People, Planet, and Progress) પર તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સમગ્ર સમિટ દરમિયાન 500થી વધુ સત્રો યોજાશે, જેમાં 3,250થી વધુ વક્તાઓ એઆઈના ભવિષ્ય અને તેનાથી માનવજાતને થનારા ફાયદાઓ વિશે ચર્ચા-વિચારણા કરશે.

કાર્યક્રમની ગરિમા અને વિદેશી મહેમાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 10 હજારથી વધુ પોલીસકર્મીઓ, એન્ટી-ડ્રોન સિસ્ટમ અને 500થી વધુ સીસીટીવી કેમેરા વડે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ખાસ નોંધનીય છે કે, ઉદ્ઘાટન સમારોહને કારણે 16 ફેબ્રુઆરીએ પ્રદર્શન વિસ્તાર બંધ રહેશે, પરંતુ 17 ફેબ્રુઆરીથી તે સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે, જેથી લોકો ટેકનોલોજીના આ અદભૂત આવિષ્કારોને નિહાળી શકે.