વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામની મુલાકાત દરમિયાન જાહેર સભાને સંબોધિત કરી હતી. જેમાં તેમને પુલવામાના આતંકી હુમલાનો ઉલ્લેખ કરીને કોંગ્રેસને આડે હાથે લીધી હતી. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ આતંકીઓને ખભા પર બેસાડે છે.
પુલવામા આતંકી હુમલાના શહીદોને સલામ
પીએમ મોદીએ કહ્યું, આજે પુલવામા આતંકી હુમલાને સાત વર્ષ થયા છે. હું ભારત માતાના શહીદોને સલામ કરું છું જેમણે આ હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો. આ આતંકવાદી હુમલા પછી ભારતે આતંકવાદીઓને જે રીતે સજા આપી તે આખી દુનિયાએ જોઈ છે. એપ્રિલ 2025 માં જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓના કાયરતાપૂર્ણ કૃત્યનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે તમે ઓપરેશન સિંદૂરમાં પણ ભારતની આ શક્તિ જોઈ છે.
કોંગ્રેસના નેતાઓ ઘૂસણખોરોને બચાવવામાં વ્યસ્ત
પીએમ મોદીએ આસામમાં સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ ઘૂસણખોરોને બચાવવામાં વ્યસ્ત છે. તેમણે લોકોને આગામી ચૂંટણીમાં ભાજપ સરકારને જંગી બહુમતીથી ચૂંટવા અપીલ કરી હતી. તેમણે કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હંમેશા પૂર્વોત્તરને ભંડોળ ફાળવવાનું ટાળે છે અને તેને અવગણે છે. જયારે એનડીએ સરકારના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો અંગે જણાવતા તેમણે ભાસ્કર સેતુ સહિત અન્ય પરિયોજનાનો ઉલ્લેખ કર્યો હતો.