(અમારા પ્રતિનિધિ તરફથી)
પાવગઢ: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્ર નવરાત્રીના આઠમાં નોરતે માતાજીના દર્શન કરવા લાખો માઈભક્તો ઉમટી પડ્યા હતા. નવરાત્રીની આઠમનું વિશેષ મહત્વ હોય, દર્શનની સાથે સાથે માતાજીના આઠમના હવનના દર્શનનો પણ લાભ લીધો હતો.
મળતી વિગતો અનુસાર, ચૈત્ર નવરાત્રીના આઠમના દિવસે સવારના ચાર મંદિર ટ્રસ્ટ દ્વારા દ્વાર દર્શનાર્થે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આઠમના દર્શન માટે માઈભક્તોનો પ્રવાહ ગત મોડી રાત્રીથી અવિરત ચાલુ રહ્યો હતો. આઠમના દિવસે મંદિર પરિષદમાં વિશેષ હવન કરવામાં આવ્યો હતો.
ચૈત્ર નવરાત્રીને લઇ પાવાગઢ ખાતે ભક્તોનો પ્રવાહ વધારે હોવાથી પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વારા સી.સી.ટીવી કેમેરા તેમ જ પોલીસ વિભાગના 800 પોલીસકર્મી દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી હતી. એસટી વિભાગ દ્વારા ગત રાતના ૧૨ વાગ્યાથી અવિરત 60 એસટી બસ દોડાવવામાં આવી હતી.