નવી દિલ્હી: આજે શરુ થયેલા સંસદના વિશેષ સત્રમાં વસ્તી ગણતરી અને અનામતના મુદ્દે ઉગ્ર ચર્ચાઓ થઇ રહી છે. લોકસભામાં NDA અને વિપક્ષ નેતા આમને સામને આવી ગયા હતાં. સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે ઉગ્ર દલીલો થઇ હતી, આ દરમિયાન ગૃહમાં વાતાવરણ ગરમ થઇ ગયું હતું.
અખિલેશ યાદવે હાલ ચાલી રહેલી વસ્તી ગણતરી કવાયત અંગે સવાલ ઉઠાવ્યા. અખિલેશ યાદવે સવાલ ઉઠાવતા પૂછ્યું કે વસ્તી ગણતરી કરવામાં આટલો વિલંબ કેમ કરવામાં આવી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકારે જાણી જોઈને વસ્તી ગણતરી ટાળતી રહી, કેમ કે જો વસ્તી ગણતરી થાય જાય અને જાતિ આધારે ગણતરી જાહેર થઈ જાય, તો પછાત વર્ગો માટે અનામતની માંગ વધુ તીવ્ર બની શકે છે.
અખિલેશ યાદવનો આરોપ:
અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે સરકાર વાસ્તવિકતાથી દૂર ભાગી રહી છે અને તેથી ઉતાવળમાં અન્ય નિર્ણયો લઇને જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. જ્યારે પછાત વર્ગો પાસેથી મત જોઈતા હોય ત્યારે વડા પ્રધાન પોતાને પછાત જાતિમાંથી હોવાનું જણાવે છે, જ્યારે વાસ્તવિક ગણતરી અને અધિકારોની વાત આવે છે, ત્યારે સરકાર પાછળ હટી જાય છે.
અમિત શાહનો અખિલેશને જવાબ:
અખિલેશ યાદવના આરોપોનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે વિપક્ષના કેટલાક નિવેદનો લોકોને ગેરમાર્ગે દોરી શકે છે.
અમિત શાહે કહ્યું, “વસ્તી ગણતરીનું કામ શરૂ થઈ ગયું છે અને સરકારે જાતિના આધારે વસ્તી ગણતરી કરવાનો પણ નિર્ણય લીધો છે. હાલ ઘરોની ગણતરીનું કામ ચાલી રહ્યું છે, અને ઘરોની કોઈ જાતિ હોતી નથી.”
અમિત શાહે સમાજવાદી પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું, “સપાનું ચાલે તો તેઓ ઘરોની જાતિ પણ નક્કી કરશે. સપા ઇચ્છે તો તેઓ પોતાની તમામ ટીકીટો મુસ્લિમ મહિલાઓને આપી શકે છે, અને અમને તેની સામે કોઈ વાંધો નથી.”
સમાજવાદી પાર્ટીના નેતા ધર્મેન્દ્ર યાદવે એવી માંગ કરી હતી કે મુસ્લિમ મહિલાઓને અનામત આપવામાં આવે.
અમિત શાહે તેમને જવાબ આપતા કહ્યું કે મુસ્લિમ મહિલાઓને અનામત આપવું એ બંધારણની વિરુદ્ધ છે. ભારતીય બંધારણ ધર્મના આધારે અનામત પર પ્રતિબંધ મૂકે છે.