નવી દિલ્હી: નેપાળમાં શાંતિપૂર્ણ અને સફળ ચૂંટણી માટે પીએમ મોદીએ નેપાળના લોકો અને સરકારને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું એ જોઈને આનંદ થાય છે કે નેપાળના લોકોએ ઉત્સાહ સાથે લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ઉપલબ્ધિ નેપાળના લોકતાંત્રિક યાત્રા માટે ગર્વની બાબત છે. પીએમ મોદીએ જણાવ્યું કે એક નજીકનો મિત્ર અને પાડોશી તરીકે ભારત નેપાળના લોકો અને તેમની સરકાર સાથે મળીને શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિના નવા આયામ સ્થાપિત કરવા માટે પૂર્ણ પ્રતિબધ્ધતા સાથે કાર્ય કરશે. નેપાળમાં હાલ રેપરમાંથી રાજકારણી બનેલા બાલેન શાહની પાર્ટી જીત તરફ અગ્રેસર છે.
નેપાળના નાગરિકોની જીવંત ભાગીદારીની પ્રશંસા
પીએમ મોદીનું એક્સ પર આ નિવેદન નેપાળ પ્રત્યે ભારતની સતત હકારાત્મક અને સહયોગી નીતિને પ્રતિબિંબિત કરે છે. ભારતે હંમેશા નેપાળના લોકશાહી વિકાસને ટેકો આપ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં નેપાળ દ્વારા સામનો કરવામાં આવતી રાજકીય અસ્થિરતા અને વિવિધ પડકારો છતાં, ચૂંટણીઓનું સરળ સંચાલન બંને દેશો માટે સકારાત્મક સંકેત છે. પીએમ મોદીએ ખાસ કરીને નેપાળના નાગરિકોની મતદાનમાં જીવંત ભાગીદારીની પ્રશંસા કરી છે.
બાલેન શાહની પાર્ટી જીત તરફ અગ્રેસર
ઉલ્લેખનીય છે કે, નેપાળમાં હાલ રેપરમાંથી રાજકારણી બનેલા બાલેન શાહની નવી રચાયેલી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP ચૂંટણીઓમાં પ્રચંડ વિજય તરફ આગળ વધી રહી છે. તેમજ ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર નેપાળના 165 મતવિસ્તારોમાંથી 161 મતવિસ્તારોમાંથી RSP એ છ બેઠકો જીતી છે અને 109 અન્યમાં આગળ છે. બાલેન શાહ જે તાજેતરમાં કાઠમંડુના મેયર હતા ઝાપા-5 મતવિસ્તારમાં આગળ છે. જે ચાર વખતના વડાપ્રધાન અને CPN-UML અધ્યક્ષ ઓલીનો ગઢ છે. બાલેન શાહે અત્યાર સુધીમાં 15,000 થી વધુ મત મેળવ્યા છે. જ્યારે ઓલીને ફક્ત 3,300 મત મળ્યા છે.