કાઠમંડુ: નેપાળના પર્વતીય વિસ્તારમાં ભારતીય શ્રદ્ધાળુઓને લઇને જઈ રહેલી બસ રસ્તા પરથી લપસીને ખીણમાં ખાબકતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહેવાલ મુજબ આ અકસ્માતમ ભારતીય શ્રદ્ધાળુઓના મોત થયા છે અને નવ અન્ય ઘાયલ થયા છે, રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલી રહ્યું છે.
અહેવાલ મુજબ શ્રદ્ધાળુઓ નેપાળના જાણીતા મનકામના મંદિરના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. કાઠમંડુથી લગભગ 120 કિલોમીટર પશ્ચિમમાં શાહિદ લખન ગામ પાસે બસ રસ્તા પરથી નીચે ઊંડી ખીણમાં ખાબકી હતી.
પોલીસના જણાવ્યા મુજબ બસ ઢાળથી નીચે ઉતરી રહી હતી, ત્યારે વળાંક લેતી વખતે બસ સરકીને ગઈ 150 મીટર ઊંડી ખીણમાં ખાબકી. ઘટનાની જાણ થતા સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતાં. પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. ઘાયલ મુસાફરોને કાટમાળમાંથી કાઢીને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડ્યા હતા.
7 ભારતીયોના મોત:
આ અકસ્માતમાં 7 ભારતીયોના મોત થયા છે, જયારે સાત ભારતીયો સહીત 9 લોકો ઘાયલ થયા છે, નેપાળી બસ ડ્રાઈવર અને તેનો સહાયક પણ ઘયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમને તબીબી સારવાર આપવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મૃતકોના મૃતદેહોની ઓટોપ્સી કરવામાં આવી રહી છે, ત્યાર બાદ પરિવારજનોને મૃતદેહો સોંપવામાં આવશે.
નોંધનીય છે કે નેપાળમાં અવારનવાર બસ અકસ્માતો બનતા રહે છે, જેમ કે મોટાભાગનો દેશ પર્વતીય વિસ્તાર છે, પહાડો વચ્ચે સાંકડા અને વળાંકવાળા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. ખરાબ રસ્તા, ખામી વાળા વાહનો અને ડ્રાઈવરની ભૂલને કારણે અકસ્માતો થતા રહે છે.